નોરા ફતેહી દિવસમાં 10 વાર ફોન કરતી, જેકલિન સાથે સંબંધ તોડવા કરતી હતી દબાણ; ઠગ સુકેશના નવા દાવાથી ખળભળાટ

Rudra
4 Min Read

જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર ફરી એકવાર 34 વર્ષીય અભિનેત્રી નોરા ફતેહીને લઈને ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સુકેશ દ્વારા નોરા ફતેહીના નામે લખાયેલો હોવાનો દાવો કરવામાં આવતો એક કથિત હસ્તલિખિત પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં અભિનેત્રીને લઈને અનેક ગંભીર દાવા કરવામાં આવ્યા છે. જોકે, પત્રમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે નોરા ફતેહીએ તાજેતરમાં 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ સાથે જોડાયેલા હોવાના કારણે પોતાના પર પડેલા ભાવનાત્મક પ્રભાવ વિશે જાહેરમાં વાત કરી હતી.

સુકેશનો દાવો, નોરા માટે ઘર ખરીદવા કરોડો રૂપિયા આપ્યા

અહેવાલો અનુસાર, સામે આવેલો પત્ર સુકેશનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે તેમાં કરવામાં આવેલા આરોપોની પુષ્ટિ થઈ નથી. પત્રમાં સુકેશે આરોપ લગાવ્યો છે કે તેણે નોરા માટે મોરોક્કોના કાસાબ્લાંકા શહેરમાં ઘર ખરીદવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. સુકેશે કથિત રીતે નોરા સાથે થયેલી વોટ્સએપ વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં બર્કિન બેગ, BMW અને રેન્જ રોવર જેવી લક્ઝરી વસ્તુઓનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. સુકેશનો એવો પણ દાવો છે કે નોરાને તેની ઓળખ અને પ્રભાવ વિશે તે સમયે સંપૂર્ણ જાણકારી હતી.

પત્રના મોટા ભાગમાં સુકેશ અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝના સંબંધને લઈને નોરા પર આરોપો લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સુકેશનો દાવો છે કે નોરા તેના અને જેકલીનના સંબંધથી ઈર્ષ્યા કરતી હતી અને વારંવાર તેનો સંપર્ક કરતી હતી. પત્રમાં એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે નોરા દિવસમાં અનેક વખત ફોન કરતી હતી અને જેકલીન સાથેનો સંબંધ સમાપ્ત કરીને પોતાના લાઇફસ્ટાઇલ માટે પૈસા માગતી હતી. જોકે, આ તમામ દાવાઓ સુકેશ દ્વારા કરવામાં આવેલા કથિત આક્ષેપો છે અને તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અહેવાલો અનુસાર, કથિત પત્રના અંતમાં નોરા માટે ધમકીભર્યો સંદેશ પણ હોવાનું કહેવાય છે. સુકેશે એવો દાવો કર્યો છે કે તેની પાસે આ આરોપોને સમર્થન આપતા વધુ પુરાવા છે, જેને તેણે હાલમાં જાહેર કર્યા નથી. તેણે કથિત રીતે નોરાને ઉશ્કેરણી ન કરવા ચેતવણી આપી છે અને જો તે પુરાવા જાહેર કરશે તો કોઈપણ ‘રિપ્યુટેશન મેનેજમેન્ટ’ તેને બચાવી શકશે નહીં એવો દાવો કર્યો છે.

આ કથિત પત્ર સામે આવ્યા બાદ સુકેશ અને નોરા વચ્ચેના જૂના કનેક્શનની ફરી ચર્ચા શરૂ થઈ છે. સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. તે અગાઉ પણ અનેક જાણીતી સેલિબ્રિટીઝ અંગે વિવિધ દાવા કરી ચૂક્યો છે. નોરા ફતેહીએ અગાઉ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે અને પોતાને આ કેસમાં પીડિતા ગણાવી છે. હાલ નોરાએ આ કથિત પત્ર અંગે કોઈ નવી પ્રતિક્રિયા આપી નથી.

સુકેશ ચંદ્રશેખર એક કથિત ઠગ છે, જેના પર લોકોને છેતરીને કરોડો રૂપિયા પડાવવાના અનેક આરોપો છે. તે પોતાને મોટો બિઝનેસમેન અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે રજૂ કરીને લોકોને પોતાના જાળમાં ફસાવતો હોવાના આરોપોનો સામનો કરી રહ્યો છે. 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં નામ સામે આવ્યા બાદથી તે જેલમાં છે. સુકેશનું નામ બોલિવૂડની અનેક અભિનેત્રીઓ સાથે પણ જોડાયું છે અને તે સમયાંતરે જેલમાંથી સેલિબ્રિટીઝને લઈને દાવા તથા પત્રો જાહેર કરતો રહ્યો છે.

Share This Article