શિવાજી મહારાજના ચરણોમાં ‘રાજા શિવાજી’: રિતેશ–જિનિલીયાએ પૂજા અર્ચના કરી

Rudra
2 Min Read

જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીની ફિલ્મ ‘રાજા શિવાજી’ હવે તેની રિલીઝની નજીક છે. આ ભવ્ય સિનેમેટિક રિલીઝ પહેલાં રિતેશ દેશમુખ અને જિનેલિયા દેશમુખે ભિવંડીના છત્રપતિ શિવાજી મહારાજ મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. આ દરમિયાન બંનેએ પરંપરાગત આરતી કરી અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી. સાથે જ તેમણે ત્યાં હાજર ચાહકોને મળીને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો.

આ ખાસ પ્રસંગે સ્થાનિક લોકોએ ઢોલ-તાશાના નાદ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેના કારણે સમગ્ર માહોલ વધુ ભવ્ય અને ઊર્જાસભર બની ગયો. ત્યારબાદ પરંપરાગત આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ નવવારી સાડીમાં સજ્જ દેખાઈ, જે સંસ્કૃતિ અને ઉત્સવનો સુંદર સંગમ દર્શાવતું હતું. ગામના લોકો મોટી સંખ્યામાં આ જોડીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા, જ્યારે ચાહકોએ ‘રાજા શિવાજી’ થીમ પર આકર્ષક રંગોળી પણ બનાવી.

‘રાજા શિવાજી’ ફિલ્મ હિન્દી અને મરાઠી સિનેમાના ઘણા શક્તિશાળી કલાકારોને એક સાથે લાવી રહી છે, જેમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યાબાલન, મહેશ માંજેરેકર, સચિન ખેડેકર, બોમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન, જિતેન્દ્ર જોશી, અમોલ ગુપ્તે અને જિનિલીયા દેશમુખનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખે લેખન, દિગ્દર્શન, નિર્માણ અને અભિનય ચારેય જવાબદારીઓ સંભાળી છે.

જિયો સ્ટુડિયોઝ દ્વારા રજૂ થયેલી અને મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ બનેલી ‘રાજા શિવાજી’નું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને જિનિલીયા દેશમુખે કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને વારસાને આધારિત આ ઐતિહાસિક ફિલ્મ 1 મે 2026ના રોજ મરાઠી અને હિન્દી ભાષામાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે ભારતના ગૌરવશાળી ઇતિહાસને ભવ્યતા, ભાવનાઓ અને ઉત્તમ રજૂઆત સાથે દર્શાવશે.

 

Share This Article