India Playing 11: ટી20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજના પોતાની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી પરાજિત કર્યું. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાના બાકી રહેલી બંને મેચ કોઈ પણ ભોગે જીતવી જરૂરી છે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
ભારતની આગામી મેચમાં જિમ્બાબ્વે સામે છે. આ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ભલે જિમ્બાબ્વે નાની ટીમ માનવામાં આવે, પરંતુ તેણે આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી છે. તેથી ભારતીય ટીમ જિમ્બાબ્વેને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.
ચેન્નઈની પિચ સ્પિન બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં સ્પિનરોનો પ્રભાવ વધુ રહે છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા 3 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલની વાપસી થવાની શક્યતા છે. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ અક્ષરને ફરી તક મળવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
અભિષેક શર્મા માટે 2026નો ટી20 વર્લ્ડ કપ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. તેઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. તેમની જગ્યાએ સંજુ સેમસનને રમાડવાની માંગ ઉઠી રહી છે. છતાં ટીમ મેનેજમેન્ટ અભિષેક પર વિશ્વાસ જાળવી રાખી શકે છે, જેથી સેમસનને વધુ રાહ જોવી પડી શકે. હાલ માટે બે ફેરફારની શક્યતા છે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની વાપસી.
જિમ્બાબ્વે સામે ભારતની સંભાવિત પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કપ્તાન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.
