કર્ણાટક હાઈકોર્ટના ૬ જજને મારી નાખવાની ધમકી, સંદેશા મળ્યા બાદ FIR નોંધાઈ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કર્ણાટક હાઈકોર્ટના પ્રેસ ઈન્ફોર્મેશન ઓફિસર  એ પોતાના અને અન્ય કેટલાક ન્યાયાધીશો સહિત તેમના જીવને જોખમ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ બેંગલુરુના સેન્ટ્રલ CEN ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શકમંદો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેમાં ધમકીભર્યા મેસેજમાં ૫૦ લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી છે. એફઆઈઆરની નોંધણી અંગે માહિતી આપતાં બેંગ્લોર પોલીસે જણાવ્યું કે કે. મુરલીધર નામના વ્યક્તિએ ૧૪ જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી હતી. મુરલીધરને ૧૨ જુલાઈના રોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ આંતરરાષ્ટ્રીય નંબર પરથી વોટ્‌સએપ મેસેન્જર પર મેસેજ આવ્યો હતો. આ મોબાઈલ નંબર તેમને સત્તાવાર રીતે હાઈકોર્ટે આપ્યો છે. પોલીસે જણાવ્યું કે ધમકીભર્યો મેસેજ ૩ ભાષાઓમાં કરવામાં આવ્યો હતો.

દુબઈ ગેંગ દ્વારા હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી ઉપરાંત મુરલીધર અને હાઈકોર્ટના ૬ જજોને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હાઈકોર્ટના આ ન્યાયાધીશોમાં જસ્ટિસ એચટી નરેન્દ્ર પ્રસાદ, જસ્ટિસ મોહમ્મદ નવાઝ, જસ્ટિસ અશોક જી નિજગન્નાવર (નિવૃત્ત), જસ્ટિસ કે નટરાજન, જસ્ટિસ એચપી સંદેશ અને જસ્ટિસ બી વીરપ્પા (નિવૃત્ત) સામેલ છે.

મેસેજમાં પાંચ શંકાસ્પદ ફોન નંબર પણ હતા. મોબાઈલ પર ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ ૧૪ જુલાઈના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ધમકીભર્યા મેસેજમાં પાકિસ્તાનના બેંક ખાતામાં ૫૦ લાખ રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.બેંગલુરુ પોલીસે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬, ૫૦૭ અને ૫૦૪, ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૭૫ અને ૬૬ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. FIR નોંધ્યા બાદ પોલીસે તેને ફર્સ્ટ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને સોંપી દીધી હતી.

Share This Article