વડાપ્રધાન મોદીને કેન્દ્રમાં ૮ વર્ષમાં ૮ યોજનાઓએ લોકપ્રિય કર્યા

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

કેન્દ્રમાં મોદી સરકારને ૮ વર્ષ પૂરા થયા. ૨૦૧૪માં જે ઝળહળતો વિજય મેળવ્યો હતો તેનાથી પણ ભવ્ય વિજય ૨૦૧૯માં ભાજપ અને તેના સાથી ગઠબંધનોએ મેળવ્યો. ઘરેલુ સ્તરથી લઈને વિદેશ નીતિ સુધી ભારતે એક નવું વિઝન ઊભું કર્યું જેની વિદેશમાં પણ ખુબ ચર્ચા છે. પહેલા કરતા પણ વધુ ભવ્ય વિજય મેળવવા પાછળ મોદી સરકારની કેટલીક યોજનાઓ પણ કામ કરી ગઈ જેના વિશે ખાસ જાણવું જોઈએ. આ એ જ યોજનાઓ છે જેણે લોકોના જીવનસ્તરમાં સુધારો કર્યો અને તેના પગલે મોદી સરકાર લોકોના હ્રદય સુધી પહોંચી.  જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે તે આઠ વર્ષોમાં અનેક નવી યોજનાઓ શરૂ કરાઈ છે. ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાથી માંડીને અનેક મોટા નેતાઓનું પણ કહેવું છે કે એનડીએ સરકારે છેલ્લા ૮ વર્ષ દરમિયાન જનહિત અને દેશહિતમાં અનેક પગલાં લીધા છે તથા મહત્વકાંક્ષી યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. આ ઉપરાંત કાર્યપદ્ધતિ, નીતિઓ અને માપદંડોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે. એવી કેટલીક ૮ યોજનાઓ વિશે જાણીએ જે મોદીકાળમાં અત્યંત લોકપ્રિય બની છે.

૧ આયુષ્યમાન ભારત યોજના   કેન્દ્ર સરકારનો એક ફ્લેગશિપ કાર્યક્રમ છે. ગરીબોને વિના મૂલ્યે સારી સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને ૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સ્વાસ્થ્ય વીમા સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ સભ્યોને લાભ મળવાનો સરકારનો દાવો છે. પીએમ મોદીએ પોતે કહેલું છે કે આ યોજના હેઠળ ગંભીર બીમારીઓની સારવા માત્ર સરકારી નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ થઈ શકશે.

૨. જનધન યોજના :  આ યોજનાનો હેતુ દેશના દરેક નાગરિકને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે. યોજનાની શરૂઆત ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ થઈ હતી. વચેટિયાઓનો ત્રાસ દૂર કરવામાં આ યોજનાએ ભાગ ભજવ્યો છે કારણ કે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની સફળતા પાછળ આ યોજના કારણભૂત છે. અત્યાર સુધીમાં ૪૫ કરોડથી વધુ ખાતા આ યોજના હેઠળ ખુલ્યા છે. કોરોનાકાળમાં મહિલાઓને જે રાહત મોકલવામાં આવી તે સીધી આ ખાતાઓ દ્વારા તેમને હાથોહાથ મળી. લોકોને હવે બધો લાભ સીધો તેમના સુધી પહોંચી શકે છે.

૩. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના :  કોરોનાકાળમાં શરૂ થયેલી આ યોજનાઓ ગરીબોને ખુબ રાહત આપી. દેશમાં કોઈ ભૂખ્યું ન રહે તે સરકારનો આ યોજના પાછળનો હેતું હતો. ૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ આ યોજનાની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકારના દાવા મુજબ આ યોજનાનો લાભ ૮૦ કરોડ લોકો લઈ રહ્યા છે. લાભાર્થીને આ યોજના હેઠળ ૫ કિલોથી વધુ અનાજ અપાય છે. સરકાર તાજેતરમાં જ PMGKY ને સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

૪. સ્વચ્છ ભારત મિશન :  પ્રધાનમંત્રી મોદીની આ યોજના વિશ્વસ્તરે ખ્યાતિ પામી. એટલે સુધી કે પાડોશી પાકિસ્તાને પણ તેનું અનુકરણ કર્યું હતું. આ અભિયાન હેઠળ સ્વય્છતાને પ્રોત્સાહ આપવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિના મૂલ્યે શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. ૨ ઓક્ટોબર ૨૦૧૪ રોજ પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. ગામડે ગામડે આ યોજનાનો લોકો લાભ લઈ રહ્યા છે. પીએમ મોદીએ યોજનાની શરૂઆત કરાવી ત્યારે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને આઝાદ તો કરાવ્યો પરંતુ તેમનું સ્વચ્છ ભારતનું સપનું પૂરું થઈ શક્યું નહીં.

૫. પ્રધાનમંત્રી આવાસ યોજના :  પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી. આ યોજના હેઠળ ગરીબ લોકોને ઘર બનાવવામાં મદદ કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને ઘર અપાય છે. જેમની પાસે કાચા મકાનો હોય તેવા લોકોને સાવ ઓછા વ્યાજે લોન અપાય છે, જેમાં ધરખમ સબસિડી પણ અપાય છે. આ લોન ચૂકવવા માટે ૨૦ વર્ષનો સમય હોય છે. મોદી સરકારે આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ૨ કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

૬. ઉજ્જવલા યોજના : આ યોજના ગ્રામીણ મહિલાઓમાં અત્યંત લોકપ્રિય છે એમ મનાય છે. જે હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાંધણ ગેસ કનેક્શન મફતમાં ઉપલબ્ધ કરાવાય છે. યોજનાની શરૂઆત પહેલી મે ૨૦૧૬ના રોજ થઈ હતી. કેન્દ્ર સરકારનો દાવો છે કે ૨૫ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ૯ કરોડ કરતા પણ વધુ કનેક્શન અપાયા. યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમામ BPL અને APL રાશન કાર્ડ ધારક પરિવારની મહિલાઓને ૧૬૦૦ રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે.

૭. જળ જીવન મિશન :  ૨૦૨૪ સુધીમાં ઘર ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું મોદી સરકારનું લક્ષ્ય છે. પહેલા આ યોજના હેઠળ ઘરે ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવાના લક્ષ્ય માટે ૨૦૩૦નું વર્ષ નક્કી કરાયું હતું. હર ઘર નળ યોજનાને જળ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. યોજનાનો લક્ષ્યાંક પ્રતિ વ્યક્તિ પ્રતિદિન ૫૫ લીટર પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ દેશભરમાં થઈને વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૩.૮ કરોડ પરિવારો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સરકારના કહેવા મુજબ આ યોજના દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૫.૫ કરોડ ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે. ૨૦૧૯માં આ યોજનાની શરૂઆત કરાઈ હતી.

૮. કિસાન સન્માન નિધિ :  આ યોજનાએ ખેડૂતોને ખુબ ફાયદો કરાવ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની બરાબર પહેલા યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજનાના ગામડે ગામડે વખાણ થાય છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૦ હજારના ત્રણ હપ્તામાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

Share This Article