ઈન્ડોનેશિયા સુનામી : મોતનો આંકડો વધીને ૩૯૫ થઈ ગયો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

જાકર્તા :  ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનો આંકડો રોકેટગતિથી વધી રહ્યો છે. આજે વધુ કેટલાક મૃતદેહ મળી આવ્યા બાદ મોતનો આંકડો વધીને ૩૯૫ ઉપર પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા સત્તાવાર રીતે ૧૫૦૦ આંકવામાં આવી છે. ઘાયલ પૈકીના કેટલાક હજુ ગંભીર સ્થિતીમાં છે. કાટમાળ હેઠળ લોકોની શોધખોળ ચાલી રહી છે. હવે લોકો જીવિત મળે તેવી શક્યતા ઓછી છે. જા કે બચાવ અને રાહત કામગીરીને જારી રાખવામાં આવી છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ ખુબ મોટી હોવાનુ જાણવા મળ્યુ છે.

હજારોની સંખ્યામાં મકાનો ધરાશાયી થઇ ગયા છે. સુન્ડા સ્ટ્રેટની આસપાસના વિસ્તારોમાં સુનામીના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે સુનામીના કારણે તમામ નિષ્ણાંતો ભારે પરેશાન છે. કારણ કે આ ક્ષેત્રમાં કોઇ ભૂકંપનો આંચકો આવ્યો ન હતો. એકાએક દરિયામાં ૨૦ ફુટ સુધી ઉંચા મોજા ઉછળવા લાગી ગયા હતા. સુનામીની પહેલાથી કોઇ ગતિવિધી નજરે પડી રહી ન હતી. જેના લીધે કોઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ વર્ષે બીજી વખત સુનામીથી તબાહી થઇ છે. સપ્ટેમ્બરમાં ૨૮મી તારીખે સુલાવેસીમાં ભૂંકપ અને સુનામીના કારણે ૨૫૦૦ લોકોના મોત થયા હતા. દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખી પૈકી અડધાથી વધુ જ્વાળામુખી આ વિસ્તારમાં આવે છે.

આજ કારણસર આ વિસ્તારને રિંગ ઓફ ફાયર અથવા તો આગના ગોળા તરીકે કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં દર વર્ષે ભૂકંપ અને સુનામીના કારણે અભૂતપૂર્વ નુકસાન થાય  છે.  ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીએ હિંદ મહાસાગરના દરિયા કાંઠા પર આવેલા દેશોમાં ભારે તબાહી મચાવી હતી અને  સવા બે લાખ લોકોના મોત થઇ ગયા હતા. નવેસરથી વિનાશક સુનામીમાં મોતનો આંકડો વધી શકે છે. ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા ૧૩ દેશોમાં ૨૨૬૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઇન્ડોનેશિયામાં તે વખતે ૧૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. ૧૮૮૩માં ક્રાકાટાઉમાં જ્વાળામુખી ફાટતા સુનામીથી ૩૬૦૦૦ લોકોના મોત થઇ ગયા હતા. ૧૮૮૩માં વિનાશક જ્વાળામુખી બાદ અફડાતફડી મચી ગઈ હતી. દુર્ઘટનાઓની શ્રેણીનો દોર જારી રહ્યો છે. આ વર્ષે અનેક જ્વાળામુખી અને ભૂકંપના બનાવો બની ચુક્યા છે.  સત્તાવાળાઓએ સુંડા દ્વિપની આસપાસ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તથા પ્રવાસીઓને બીચથી દૂર રહેવા માટે સૂચના આપી છે. આ ચેતવણીને ૨૬મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ  સુધી રહેશે.

 

Share This Article