ભદ્રકાળી મંદિરમાં વિજયપદ્મ ગરબા સ્પર્ધાનું આયોજન થયુ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ગત તા.૧૦થી આગામી તા.૧પ ઓક્ટોબર સુધી શહેર કક્ષાની ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાંથી ઝોન કક્ષાએ પ્રથમ આવનારી  શહેરના સાતેય ઝોનની ગરબાની ટીમ વચ્ચે આગામી મંગળવાર તા.૧૬ ઓક્ટોબરે શહેરની નગરદેવી ગણાતાં ભદ્રકાળીના મંદિરના ચાચરચોકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા યોજાશે, જેમાં પ્રથમ આવનારને રૂ.પ૧ હજારનું ઇનામ અને મેયર ટ્રોફી અપાશે. જોકે ભદ્ર પ્લાઝા પરિસરમાં રાબેતા મુજબ દબાણોના રાફડેરાફડા ફાટી નીકળ્યા હોઇ તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર ત્રાટકવાની તૈયારીઓ કરવામાં આવી છે, તો બીજીબાજુ, દબાણકર્તાઓ પર અગમચેતીના ભાગરૂપે તંત્રથી બચવાના પ્રયાસમાં પડયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં વિવિધ ઝોન પ્રમાણે તા.૧૦થી આગામી તા.૧પ ઓક્ટોબર સુધી શહેર કક્ષાની ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ઝોન વાર પ્રથમ આવનારને રૂ.પ૧ હજાર, દ્વિતીયને રૂ.૩૧ હજાર અને તૃતીયને રૂ.૧૧ હજારનું ઇનામ અપાશે તેમજ ઝોન કક્ષાએ પ્રથમ આવનારી સાતેય ઝોનની ગરબાની ટીમ વચ્ચે આગામી તા.૧૬ ઓક્ટોબરે ભદ્રકાળી મંદિરના ચાચરચોકમાં સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં પ્રથમ આવનાર ગરબાની ટીમને વધારાના રૂ.પ૧ હજાર અને મેયર ટ્રોફી અપાશે.

શહેરમાં શેરી ગરબાને પ્રાધાન્ય આપવા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે પરંતુ ભદ્ર પ્લાઝા પરિસરના દબાણ તેમાં નડતરૂપ હોઇ એસ્ટેટ વિભાગ દ્વારા તેને ખસેડાશે. જોકે ભદ્ર પ્લાઝા પરિસરમાં તંત્ર અને દબાણવાળા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી એક પ્રકારે ઉંદર-બિલાડીની રમત રમાય છે. તંત્રના સર્વે કરતાં ત્રણથી ચાર ગણા ફેરિયાઓએ ભદ્ર-પ્લાઝા પરિસરમાં અડિંગો જમાવ્યો છે, જોકે આ માટે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની હપ્તાખાઉ સિસ્ટમ વધારે જવાબદાર હોવાનું ખુદ અમ્યુકો સૂત્ર માની રહ્યા છે એટલે મેયર વિજયપદ્મ ગરબાના આયોજન માટે દબાણ હટાવી લેવાયા બાદ માત્ર બે-ત્રણ દિવસમાં તમામ દબાણ પૂર્વવત્ થઇ જશે. જા કે, વિજયપદ્મ ગરબાસ્પર્ધાને લઇ ખૈલેયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જાવા મળી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *