રામાયણનું બજેટ 4000 કરોડ રૂપિયા નથી! રાવણનું પાત્ર ભજવનાર યશે જણાવી સમગ્ર હકીકત

Rudra
2 Min Read

દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ હાલ સિનેમા જગતમાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મની ચર્ચાનું સૌથી મોટું કારણ તેનું 4,000 કરોડનું મેગા બજેટ છે. હવે આ મામલે ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા યશે ફિલ્મના બજેટને લઈને સમગ્ર હકીકત જણાવી છે. સાઉથના સુપરસ્ટાર યશે સ્પષ્ટ કર્યું છે કે ‘રામાયણ પાર્ટ-1’નું બજેટ ₹4,000 કરોડ નથી. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે નિર્માતાઓએ કઈ રીતે ‘રામાયણ’ને મેગા બજેટ ફિલ્મ બનાવી છે. ચાલો જાણીએ યશે આ અંગે શું કહ્યું…

તાજેતરમાં યશે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ના ₹4,000 કરોડના બજેટ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ફિલ્મના પહેલા ભાગ માટે નિર્માતાઓએ આટલી મોટી રકમ ખર્ચી નથી.

યશે કહ્યું કે, ‘અમારી ફિલ્મ રામાયણ પાર્ટ-1નું બજેટ ₹4,000 કરોડ છે એ એક ગેરસમજ છે. અમારા પાર્ટનર નમિત મલ્હોત્રાએ ફિલ્મના બંને ભાગને મળીને આટલી કુલ કિંમત જણાવી છે. તેમાં ફિલ્મની રિલીઝ અને પ્રમોશનનો ખર્ચ પણ સામેલ છે. આ હોલીવુડ જેવું જ એક પેટર્ન છે.’

યશે વધુમાં જણાવ્યું કે હોલીવુડમાં પણ ફિલ્મના બજેટની ગણતરી આ જ રીતે કરવામાં આવે છે. ફિલ્મ ગ્લોબલ સ્તરે રિલીઝ થતી હોવાથી ઘણી વખત ફિલ્મના બજેટ જેટલા અથવા તેનાથી પણ વધુ પૈસા તેના પ્રમોશન પાછળ ખર્ચવામાં આવે છે. ફિલ્મની કમાણીનું મૂલ્યાંકન પણ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે.

‘રામાયણ પાર્ટ-1’માં રાવણની ભૂમિકા ભજવવા બદલ યશ સતત ચર્ચામાં છે. ફિલ્મમાં તેમને આ પાત્રમાં જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મોટા પડદા પર યશને રાવણના પાત્રમાં જોવા માટે ફેન્સ આતુર છે.

માઇથોલોજિકલ ફિલ્મ ‘રામાયણ પાર્ટ-1’ આ વર્ષે દિવાળીના શુભ અવસર પર 8 નવેમ્બરે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યારે વિદેશમાં આ ફિલ્મ 6 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર, યશ, અરુણ ગોવિલ અને સાઈ પલ્લવી સહિતના અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

 

 

 

 

TAGGED:
Share This Article