હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 4 ઓગસ્ટ, 2026ના રોજ 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પ્રદીપ રાવતે પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં વિલન અને સહાયક પાત્રો દ્વારા આગવી ઓળખ બનાવી હતી. આમિર ખાનની ‘ગજની’માં ભજવેલું ખતરનાક વિલનનું પાત્ર અને ‘લગાન’માં દેવા સિંહ સોઢીનો તેમનો અભિનય આજે પણ દર્શકોને યાદ છે. તેમના નિધનથી હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગે પણ એક અનુભવી કલાકાર ગુમાવ્યો છે.
ટીવીથી કરી હતી કારકિર્દીની શરૂઆત
21 જાન્યુઆરી, 1952ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્રદીપ રાવતે ફિલ્મોમાં પ્રવેશ કરતાં પહેલાં ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી સિરિયલ ‘મહાભારત’માં તેમણે અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેમને પ્રથમ મોટી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે 1985માં આવેલી ફિલ્મ ‘મેરી જંગ’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. શરૂઆતના વર્ષોમાં તેમણે અનેક ફિલ્મોમાં નાના પરંતુ પ્રભાવશાળી પાત્રો ભજવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી.
‘સરફરોશ’, ‘લગાન’ અને ‘ગજની’થી મળી દેશવ્યાપી લોકપ્રિયતા
પ્રદીપ રાવતને સાચી લોકપ્રિયતા ‘સરફરોશ’ (1999), ‘લગાન’ (2001)અને ‘ગજની’ (2005 તમિલ, 2008 હિન્દી) જેવી ફિલ્મોથી મળી હતી. ‘લગાન’માં તેમણે દેવા સિંહ સોઢીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું, જ્યારે ‘ગજની’માં તેમના દ્વારા ભજવાયેલા ખલનાયકના પાત્રે તેમને દેશભરમાં નવી ઓળખ અપાવી હતી. ખાસ વાત એ છે કે તેમણે તમિલની મૂળ ફિલ્મ અને તેની હિન્દી રિમેક બંનેમાં એક જ પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત તેઓ ‘ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સિંહ ઇઝ બ્લિંગ’, ‘છાવા’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
સાઉથ સિનેમામાં પણ રહી સફળ સફર
પ્રદીપ રાવત માત્ર હિન્દી ફિલ્મો સુધી સીમિત રહ્યા નહોતા. તેમણે તેલુગુ ફિલ્મ ‘સાઈ’થી દક્ષિણ ભારતીય સિનેમામાં શાનદાર શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ વિલન (તેલુગુ) એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમને નંદી અને સંતોષમ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે 100થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કર્યું હતું. તેમની દમદાર અવાજ, પ્રભાવશાળી સ્ક્રીન પ્રેઝન્સ અને ખલનાયકના અનોખા અભિનય માટે તેઓ હંમેશા યાદ રહેશે.

