ભારતીય પુરુષોમાં કેમ વધી રહી છે ફાંદ? તમારી જીવનશૈલીમાં માત્ર આટલો ફેરફાર કરો, જિમ વગર બની જશે સ્લિમ બોડી

Rudra
4 Min Read

આજના સમયમાં ભારતમાં પુરુષોમાં મેદસ્વિતા અને બહાર નીકળેલું પેટ (ફાંદ) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અગાઉ વધેલા વજનની સમસ્યા થોડા લોકોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે ઓછી ઉંમરના યુવાનોમાં પણ પેટ બહાર નીકળવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. બીજી તરફ, પશ્ચિમી દેશોના ઘણા પુરુષો વધતી ઉંમરમાં પણ ફિટ અને મસ્ક્યુલર જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેની પાછળ કોઈ જિનેટિક કારણ નથી, પરંતુ આપણી દૈનિક ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતો જવાબદાર છે. જો સમયસર આ આદતોમાં સુધારો કરવામાં આવે તો તોડ ઘટાડી શકાય છે અને અનેક ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

ઓછું પ્રોટીન અને વધુ કાર્બોહાઇડ્રેટ્સ

ભારતીય પુરુષોમાં મેદસ્વિતાનું સૌથી મોટું કારણ તેમની ખાણીપીણી છે. મોટાભાગના લોકોના દૈનિક આહારમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જ્યારે રોટલી, ભાત જેવા કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે પશ્ચિમી દેશોમાં લોકો સંતુલિત આહાર અને હાઈ-પ્રોટીન ડાયટ પર વધુ ભાર મૂકે છે. ઉપરાંત ભારતમાં દિવસ દરમિયાન વારંવાર મીઠી ચા, બિસ્કિટ અને નમકીન ખાવાની આદત હોય છે, જે શરીરમાં વધારાની કેલરી અને ચરબી એકઠી કરે છે. જ્યારે પશ્ચિમી જીવનશૈલીમાં મીઠાઈ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન પ્રમાણમાં ઓછું હોય છે.

મોડી રાત્રે જમવાની આદત અને બેઠાડું જીવન

આજના સમયમાં મોટાભાગના ભારતીય પુરુષોની જીવનશૈલી બેઠાડું બની ગઈ છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાના કારણે શારીરિક હલનચલન ખૂબ ઓછું રહે છે. તે ઉપરાંત ઘણા લોકો રાત્રે 10થી 11 વાગ્યે ભારે જમવાનું લે છે અને તરત જ સૂઈ જાય છે. જ્યારે પશ્ચિમી દેશોમાં લોકો સાંજે 7થી 8 વાગ્યા સુધીમાં હળવું જમવાનું પૂર્ણ કરી દે છે. મોડી રાત્રે ભારે ભોજન અને ઓછી શારીરિક પ્રવૃત્તિના કારણે શરીરની કેલરી બર્ન થતી નથી અને તે પેટની આસપાસ ચરબી તરીકે જમા થવા લાગે છે.

ઓછી ઊંઘ, વધુ તણાવ અને પાણીની ઉણપ

મેદસ્વિતા માત્ર ખોરાક સાથે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ સાથે પણ જોડાયેલો છે. ભારતીય પુરુષો કામના દબાણના કારણે વધુ તણાવ અનુભવે છે અને ઘણીવાર માત્ર 5થી 6 કલાક જ ઊંઘે છે. તેના કારણે શરીરમાં હોર્મોનલ અસંતુલન સર્જાય છે, જે વજન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ પશ્ચિમી દેશોમાં લોકો 7થી 8 કલાકની પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટને વધુ મહત્વ આપે છે. ઉપરાંત ભારતીયોના આહારમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ પણ ઓછું હોવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે.

ફાંદ ઘટાડવા માટે શું કરવું?

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ માત્ર ક્રેશ ડાયટ કરીને પેટની ચરબી ઘટાડી શકાતી નથી. તેના માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે.

* દરેક ભોજનમાં ઈંડા, પનીર, દાળ અથવા અન્ય પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.
* દરરોજ ઓછામાં ઓછા 8,000થી 10,000 પગલાં ચાલવાની આદત બનાવો.
* ખાંડ, મીઠી ચા, ઠંડાં પીણાં અને જંક ફૂડનું સેવન ઘટાડો.
* રાત્રિભોજન શક્ય હોય તો સાંજે 7થી 8 વાગ્યા સુધી પૂર્ણ કરો.
* દરરોજ 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લો.
* અઠવાડિયામાં ઓછામાં ઓછા 4થી 5 દિવસ નિયમિત કસરત અથવા વર્કઆઉટ કરો.

આ નાની-નાની આદતો અપનાવવાથી માત્ર બહાર નીકળેલી ફાંદ જ નહીં ઘટે, પરંતુ હૃદયરોગ, ડાયાબિટીસ અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

Share This Article