બિઝનેસમેન અને આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ પોતાની પૂર્વ સાથી અને અભિનેત્રી સુષ્મિતા સેનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. વર્ષ 2022માં બંનેના સંબંધોની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચાવ્યો હતો. તે સમયે સુષ્મિતા પર લગાવવામાં આવેલા ‘પૈસાઓ માટે સંબંધ રાખનાર’ જેવા આરોપોને લલિત મોદીએ હવે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
તાજેતરમાં હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેની વાતચીત દરમિયાન લલિત મોદીએ સુષ્મિતા સાથેના પોતાના સંબંધો વિશે ખુલાસા કર્યા અને સોશિયલ મીડિયા પર થયેલી ટીકા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
સુષ્મિતા સેન પર લાગેલા આરોપોને લઈને લલિત મોદીએ કહ્યું કે, સુષ્મિતા એક સફળ, સ્વતંત્ર અને આત્મનિર્ભર મહિલા છે, જેણે જીવનમાં બધું પોતાની મહેનતે મેળવ્યું છે.
તેમણે કહ્યું, “સુષ્મિતા ખૂબ જ સુંદર, સફળ અને આત્મનિર્ભર મહિલા છે. મારા ઓળખીતાઓમાં ઘણા લોકો કરતાં તેમના પાસે વધુ હીરા છે અને આ બધું તેમણે પોતાની કમાણીથી મેળવ્યું છે. તેમના પોતાના ડાયમંડ સ્ટોર્સ પણ હતા. ક્યારેય એવું બન્યું નથી કે અમે બહાર ગયા હોઈએ અને મને કોઈ વસ્તુ માટે ચૂકવણી કરવી પડી હોય. તેઓ પોતે જ દરેક ખર્ચ કરતી હતી. એક રીતે કહું તો હું જ તેનો આશ્રિત પ્રેમી હતો.”
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતાની પ્રશંસા કરતાં લલિત મોદીએ આગળ કહ્યું, “તે ક્યારેય કોઈ પાસેથી કંઈ લેતી નહોતી. એટલે જ્યારે લોકો તેમને લોભી કહેતા હતા, ત્યારે તે સંપૂર્ણ ખોટું હતું. હકીકતમાં તો તે પોતે જ એક અસલી હીરો છે.”
લલિત મોદીએ જણાવ્યું કે સુષ્મિતા તેમની જિંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ રહી છે. તેમણે કહ્યું, “સુષ્મિતા મારા માટે ખૂબ ખાસ હતી. આજે હું જે કંઈ છું તેમાં તેનો મોટો ફાળો છે. તે સમય દરમિયાન તેઓ મારી જિંદગીનો ખૂબ મહત્વનો ભાગ હતી. આ એક ખૂબ જ ખાસ સંબંધ હતો. બાદમાં અંતર એક પડકાર બની ગયું, પરંતુ તેની સાથે વિતાવેલી યાદો આજે પણ મારી પાસે અમૂલ્ય છે.”
લલિત મોદીએ ખુલાસો કર્યો કે પોતાના સંબંધોની જાહેરાત કરતો વાયરલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કોઈ પ્લાનિંગનો ભાગ નહોતો, પરંતુ અચાનક થઈ ગયો હતો. તેમણે યાદ કરતાં કહ્યું, “મેં આ પોસ્ટ તેમના સામે જ કરી હતી. તેને લાગ્યું જ નહોતું કે હું ખરેખર પોસ્ટ કરી દઈશ. અમે ફ્લાઇટમાં કોઈ બાબતે ચર્ચા કરી રહ્યા હતા અને તેમણે કહ્યું – ‘તમે આ પોસ્ટ નહીં કરો.’ હું હસ્યો અને પોસ્ટ બટન દબાવી દીધું. અમે ઉતર્યા ત્યાં સુધી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. પરંતુ તેમાં કંઈ ખોટું નહોતું.”
તે ઘટનાને યાદ કરતાં લલિત મોદીએ કહ્યું કે તેને કોઈપણ પ્રકારનો પસ્તાવો નથી. તેમણે કહ્યું, “આ પોસ્ટ પછી ઈન્ટરનેટ પર ભારે ચર્ચા થઈ હતી. થોડા દિવસો સુધી એવું લાગતું હતું કે દરેક વ્યક્તિ એ જ વિષય પર વાત કરી રહી છે. પરંતુ અમારી કહાની ખૂબ સુંદર હતી અને મને તેનો એક પણ ક્ષણનો અફસોસ નથી. દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે. એ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પહેલેથી નક્કી નહોતો, બસ અચાનક થઈ ગયો. મને મારા નિર્ણય પર ગર્વ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો મેં તેમાંથી શીખ્યું છે.”
