પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, એક ગાર્ડ ઘાયલ; ખાન સરે કોના પર લગાવ્યો આરોપ?

Rudra
3 Min Read

પટના: બિહારની રાજધાની પટનામાં જાણીતા શિક્ષક ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પટનાના મુસલ્લહપુર હાટ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક પ્રશાસનમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘટના બાદ ખાન સરનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

માહિતી મુજબ, ઘટના પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં આવેલા ખાન સરના કોચિંગ કેમ્પસની બહાર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર કેટલાક લોકો વચ્ચે વિવાદ અને હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સુરક્ષા વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી અને એક સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ પટનાના એસએસપી કાર્તિકેય કે. શર્મા પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આ મામલો મારામારી સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગાર્ડને ઈજાઓ પહોંચી છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.


એસએસપીએ કહ્યું , “ગાર્ડને ઈજા પહોંચી હોવાથી તેના નિવેદન ઉપરાંત સ્થાનિક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.”

ઘટના બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન ખાન સરે નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. વાયરલ વીડિયોમાં તેમણે જણાવ્યું કે તેમના કોચિંગમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેટલાક લોકો ત્યાં આવ્યા અને હોબાળો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમની સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ અને પછી આ ઘટના બની.

ખાન સરે ફાયરિંગ પાછળના કારણ અંગે પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, “સમસ્યા એ છે કે અમે આટલી ઓછી ફીમાં શિક્ષણ કેમ આપીએ છીએ અને આટલા સારા પરિણામો કેવી રીતે મેળવી રહ્યા છીએ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ફાયરિંગ કોણે કરી, ત્યારે તેમણે દાવો કર્યો કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.

ખાન સરે જણાવ્યું, “આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. ગાર્ડે પણ તેને ઓળખી લીધા છે અને આ બાજુની એક કોચિંગ સંસ્થા સાથે જોડાયેલા લોકો છે.”

ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ અથવા આરોપીઓ વિશે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલ પોલીસ તમામ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

Share This Article