ગીતા દર્શન – ૪૭

News KhabarPatri
2 Min Read

ગીતા દર્શન

 “ યા નિશા સર્વ ભૂતાનાંતસ્યા જાગર્તિ સંયમી ??
યસ્યા જાગૃતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને:??૨/૬૯ ??”

અર્થ

       “ સર્વ પ્રાણીની જે રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગે છે, અને જ્યારે અન્ય લોકો જાગતા રહે છે ત્યારે આત્મ નિરીક્ષણ  કરનાર જ્ઞાની મુનિની રાત્રિ હોય છે. “

આપણે બધા સામાન્ય મનુષ્યો  જ્યારે રાત્રે ઉંઘતા હોઇએ છીએ ત્યારે જે સંયમી અને જ્ઞાની છે તે જાગતા હોય છે. તેઓ જાગીને આત્મ નિરીક્ષણ કરે છે. આ જગત શું છે ? આત્મા શું છે ? ઈશ્વર શું છે ? આ જગતનું સંચાલન કોણ કરે છે ? એવી કઇ શક્તિ છે જે ધરતી પરના અગણિત જીવોનું નિયમન કરે છે ? ઠંડી-ગરમી-ચોમાસુ વગેરે નિયંત્રિત કરે છે તેવી શક્તિ ક્યાં છે ? આવા બધા પ્રશ્નોના જ્ઞાની મનુષ્યો મંથન  દ્વારા જવાબ શોધતા હોય છે. આ મંથનથી તેઓ જીવનનું અમૃત મેળવતા હોય છે. પ્રભૂને પામવા માટે તે સતત પ્રયત્નો કરતા જ રહે છે.  આ મુનિઓ કર્મયોગની વાતથી જાણકાર હોવાથી કર્મના બંધનમાં બંધાવાય નહિ તે રીતે પોતાના આત્માના કલ્યાણ માટે જ કર્મ કરતા રહે છે. એ સિવાયના આપણે સૌ જે બધા અજ્ઞાની,અહમ અને માયાનાબંધનમાં ફસાયેલા જીવો છીએ તે સમગ્ર રાત્રિ દરમિયાન ઉંઘતાજ રહીએ છીએ અને પોતાના આત્મ કલ્યાણ માટે સહેજ પણ વિચારતા નથી. દિવસે જ્યારે આપણે બધા સક્રિય હોઇએ છીએ ત્યારે મુનિ જ્ઞાની  લોકો બહુ સક્રિય રહેતા નથી. તે સમયે તે આરામ કરતા હોય છે. આપણે રાત્રે માત્ર સૂઇ જવાને બદલે આત્મ કલ્યાણ માટે કંઇક પ્રયત્નો કરવા જોઇએ.

અસ્તુ.

  • અનંત પટેલ

 

Share This Article