વિશ્વ કેન્સર દિવસ 2026: દેશમાં વર્ષ-2025માં કેન્સરના અંદાજિત 14 લાખથી વધુ કેસ નોંધાયા

Rudra
By Rudra 3 Min Read

દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા.

દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્સરની બિમારી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. જીવનશૈલી, પર્યાવરણીય અને આનુવંશિક પરિબળોના કારણે મોંઢાના કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉમરના ૦૩ કરોડથી વધુ વ્યક્તિઓની મોંઢાના કેન્સર, ૧.૬ કરોડથી વધુ મહિલાઓની સ્તન કેન્સર તેમજ ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાયું છે.

કેન્સરના રોગની સમયસર તપાસ, નિયમિત સ્ક્રીનિંગ અને આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવાથી કેન્સર રોગના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઇ શકે છે, જેના પરિણામે અનેક જીવ બચાવી શકાય છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ એક કરોડ નાગરિકો કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે ભારતમાં દર વર્ષે અંદાજિત આશરે ૧૪ લાખ નવા કેસ નોંધાય છે. ICMR–NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં ૦૯ માંથી ૦૧ અને મહિલાઓમાં ૧૨ માંથી ૦૧ મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ હોય છે. પુરુષોમાં તમાકુ સંબંધિત કેન્સર અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત તમાકુ મુક્તિ અભિયાન, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને જરૂરી રસીકરણ તેમજ સમુદાય જાગૃતિ અભિયાન અંગે રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે GCRI- ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે MoU કરીને “Training of Trainers” કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ગાયનેકોલોજિસ્ટ, સર્જન, ડેન્ટિસ્ટ, કમ્યુનિટી મેડિસિન નિષ્ણાતો તથા મેડિકલ ઓફિસરોને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ સુલભ બનાવવા “Training of Trainers” કાર્યકમ હેઠળ અંદાજિત ૪૦૦થી વધુ નિષ્ણાંતો દ્વારા રાજ્યભરના ૩૭,૦૦૦થી વધુ ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર થી લઈને મેડીકલ કોલેજ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં મોંઢાના, સ્તન અને સર્વાઇકલ કેન્સરની વહેલી ઓળખ માટે સ્ક્રીનિંગ કાર્યક્રમો રાજ્યમાં અમલી બનાવવામાં આવ્યા છે. જિલ્લાકક્ષાના હોસ્પિટલોમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટરો દ્વારા દર્દીઓને પોતાના જ જિલ્લામાં સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત GCRI અને તેના સેટેલાઇટ સેન્ટરો દ્વારા OPD, તપાસ, સર્જરી, રેડિયોથેરાપી તથા કીમોથેરાપીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Share This Article