અમદાવાદ સહિત રાજ્યમાં ફરી વળેલું તીવ્ર ઠંડીનું મોજુ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા તથા રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ વચ્ચે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ પારો વધારે ગગડી ગયો હતો. લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો હતો. આજે અમદાવાદ શહેરમાં પારો ગગડને ૮.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે.

સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો. નલિયા ઠંડુગાર રહ્યું હતું જ્યા પારો ઘટીને ૬.૭ ડિગ્રી થયો હતો જ્યારે ડિસા, ગાંધીનગર, વીવીનગર, વડોદરા, વલસાડમાં પણ લઘુત્તમ તાપમાન ૧૦થી નીચે પહોંચી ગયું હતું. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ  દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ હવે કમોસમી વરસાદમાં બ્રેકની સ્થિતિ છે પરંતુ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૮.૬ ડિગ્રી રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૯ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ઘટ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે કમોસમી વરસાદ પડતા જોરદાર ઠંડી પ્રવર્તી રહી છે જેની અસર અહીં પણ જોવા મળી રહી છે. સવારમાં અને મોડી રાત્રે જારદાર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી જેથી આંશિક રાહત મળી છે.

Share This Article