અમદાવાદ : ગુજરાતી કોમેડી ફિલ્મ શું થયુ? ના પ્રમોશનને લઇ ફિલ્મનો હીરો મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. ફિલ્મના પ્રમોશનને લઇ સ્ટારકાસ્ટ ભારે ઉત્સાહિત હોવા સાથે તેમણે જણાવ્યું કે, કંઇક અલગ અને રસપ્રદ વિષય આધારિત આ ફિલ્મ હોઇ ગુજરાતી દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવશે તેવો અમને વિશ્વાસ છે.
શું થયુ ફિલ્મની વાર્તા કંઇક એ પ્રકારની છે કે, મનન એક સાધારણ છોકરો છે, જે ક્રિકેટ રમતી વખતે પડી જાય છે અને તેને પથ્થર વાગવાથી પોતાની યાદશકિત ગુમાવી બેસે છે. તે તેના મિત્રો અને પ્રેમિકાને પણ ભૂલી જાય છે. હવે મનન તેની પ્રેમિકા દિપાલીને પણ ઓળખી શકતો નથી. બસ અને પછી શરૂ થાય છે ફિલ્મની રસપ્રદ અને દિલધડક વાર્તા.
બેલ્વેડેર ફિલ્મ્સ અમદાવાદમાં સ્થિત એક નિર્માણ કંપની છે. જેણે ૨૦૧૫માં શરૂઆત કરી અને ચાર વર્ષમાં ફિલ્મક્ષેત્રમાં સ્પર્ધાત્મક ક્ષમતા હાંસલ કરી છે. બેલ્વેડેર ફિલ્મ્સએ પાંચ ફિલ્મો બનાવી છે, જે ઘણી હીટ અન લોકોમાં લોકપ્રિય બની રહી. જેમાં પહેલા પ્રોજેકટ ફિલ્મ છેલ્લો દિવસ તા.૨૦-૧૧-૨૦૧૫ના રોજ રિલીઝ થઇ હતી અને જારદાર સફળ થઇ હતી, સાથે સાથે બોક્સઓફિસના બધા રેકોર્ડસ તોડી નાંખ્યા હતા. એક વર્ષ પછી ડેઝ ઓફ ટફરી રિલીઝ થઇ, જે છેલ્લો દિવસની રિમેક હતી. ત્યારબાદ તા.૧૯-૫-૨૦૧૭ના રોજ કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ રિલિઝ થઇ, જેમાં ભારતના નિમ્ન વર્ગના લોકોનું વર્ણન હતું, જે ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. ફિલ્મ વાંઢાવિલાસ ૨૦૧૮માં રજૂ થઇ અને હવે બેલ્વેડેર ફિલ્મ્સ લાવી રહ્યા છે, તેની આગામી ફિલ્મ શું થયું. બેંગ્લોર સ્થિત પ્રોડકશન હાઉસ એમડી મીડિયા ગ્રુપની સ્થાપના મહેશ દનાનાવારએ કરી છે.
શુ થયું ફિલ્મ એ એમડી મીડિયા ગ્રુપની પહેલી નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મના પ્રોડયુસર મહેશ દનાનાવાર અને વૈશલ શાહ છે, ક્રિશ્નદેવ યાજ્ઞિકે ડાયેરકટ કરેલી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, કિંજલ રાજપ્રિયા, મિત્રા ગઢવી, આર્જવ ત્રિવેદી સહિતના કલાકારોએ સુંદર અભિનય આપ્યો છે. ફિલ્મનું મ્યુઝિક કેદાર અને ભાર્ગવે આપ્યું છે. આગામી તા.૨૪ ઓગસ્ટે ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ખૂબ જ પસંદ પડે તેવો આશાવાદ ફિલ્મની સ્ટારકાસ્ટે વ્યકત કર્યો હતો.