સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૫.૭૯ મીટરે પહોંચી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોના ભરાઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૧૮ ગેટ ખોલી ૩ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાતાં સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧.૭૦ મીટર નો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૨૫.૭૯ મીટર છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ૨.૯૪ લાખ ક્યૂસેક થઇ રહી છે. જેને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે પાંચથી સાત સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે.

પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટનું રિવર બેડ પાવર્‌ હાઉસના તમામ ૬ યુનિટ છેલ્લા ચાર દિવસથી ૨૪ કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજની ૫ કરોડથી વધુ રૂપિયાની વીજળી ઉત્પન્ન થઈ રહી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધવાના કારણે નર્મદા ડેમ હવે ધીરે-ધીરે તેના સંપૂર્ણ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર તરફ વધી રહ્યો છે. ત્યારે આગામી ૧૫ દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ ભરાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

હાલ ૧૨૫.૭૯ મીટર સપાટી છે એટલે હવે ૧૩ મીટર જેટલી જળ સપાટી બાકી છે. વરસાદ ઉપરવાસમાં ચાલુ છે ત્યારે નર્મદા બંધને ભરાતાં હવે બહુ વાર લાગશે નહિ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ છે ત્યારે આ વખતે ડેમ સંપૂર્ણ ભરાશે અને લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાશે એટલે નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો પ્રવાસીઓને જોવા મળશે.

Share This Article