મોદી ગો બેક લખેલા કાળા ફુગ્ગા ઉડાડીને ઉગ્ર વિરોધ

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ :  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને આદિવાસી લોકોને થયેલા અન્યાયના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું હતું. જેને આદિવાસી વિસ્તારોમાં સારી એવી સફળતા મળી હતી.  આજે આદિવાસીઓએ સ્વેચ્છિક બંધ પાળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ ટાણે આદિવાસીઓ દ્વારા રાજપીપળા ખાતે કાળા ફુગ્ગા પર લોહીથી મોદી ગો બેક લખેલા સૂત્રો દર્શાવી આ ફુગ્ગાઓ આકાશમાં ઉડાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.  પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે અને સુરક્ષાના કારણોસર આજે રાજ્યભરમાં ૫૦૦ જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. રાજયના આદિવાસી વિસ્તારો દાહોદ જિલ્લાના મોરવાહડફ, રાજપીપળા, ડેડિયાપાડા, નેત્રંગ, ઝઘડિયા, સહિતના અનેક વિસ્તારોમાં આદિવાસીઓએ બંધના એલાનમાં સ્વૈÂચ્છક રીતે જાડાઇ બંધ પાળ્યો હતો અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં બંધના એલાનને સારી એવી સફળતા મળી હતી. ખાસ કરીને મુખ્ય બજારો બંધ રહ્યા હતા અને રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા પહોંચ્યા ત્યારે બીજીબાજુ, આદિવાસીઓના હક્કોને લઇને આદિવાસીઓએ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન અપાયું હતું.

રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી મોદી ગો બેકના સૂત્રો લખ્યા હતા. રાજ્યભરમાં ૫૦૦ જેટલા આદિવાસી કાર્યકરો- આગેવાન,નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે સમગ્ર આદિવાસી પંથકમાં વિરોધ ચાલી રહ્યો છે જેમાં પોલીસ હોવા છતાં કેવડિયા ખાતે સ્થાનિક યુવા આગેવાન ડો. પ્રફુલ વસાવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક લોકો સાથે રસ્તા ઉપર નીકળીને વડાપ્રધાન મોદી વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી હવામાં મોદી ગો બેક લોહીથી લખેલા સૂત્રોવાળા કાળા ફૂગ્ગા છોડીને વિરોધ દર્શાવાયો હતો. કાળા ફૂગ્ગાઓ ઉડાવીને, ઠેરઠેર રસ્તાઓ રોકીને, માતમ બનાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિકાસને નામે આદિવાસી રીત-રિવાજ-પરંપરાને તબાહ કરવામાં આવી છે અને તેમને વિસ્થાપિત કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ વસાવાએ કર્યો હતો. દરમ્યાન સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર આક્રોશ અને વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, પ્રતિમાને કારણે તેમને વિસ્થાપિત થવું પડ્‌યું છે તેમની જમીનો છિનવાઈ ગઈ છે.

ડેમની નજીક હોવા છતાં તેમને પાણી મળતું નથી, જેથી વરસાદ આધારિત ખેતી કરવી પડે છે અને વરસાદ ન પડે ત્યારે મજૂરી કરવી પડે છે. ભીલીસ્તાન ટાઇગર સેનાએ રસ્તા રોકોનો કાર્યક્રમ આપ્યો હતો ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ભિલિસ્તાન ટાઈગર સેનાનાં કાર્યકરો દ્વારા ડેડિયાપાડાથી રાજપીપળાને જોડતો રસ્તો બારીજા ગામે બંધ કરવામાં આવ્યો હતો. આ રસ્તો ચેલંબા, ગરુડેશ્વર, નાંદોદ, મોવી ચોકડીને ઉમરપાડાને જોડે છે. સુરતના કોસંબા નેશનલ હાઇવે ૪૮ પર આદિવાસીઓએ મોદી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી ટાયરો સળગાવી વિરોધ વ્યકત કર્યો હતો. તો, વલસાડના ધરમપુરમાં આદિવાસીઓના વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા. વિરોધ કરનારા આદિવાસીઓએ હિંસાનો માર્ગ નહી અપનાવતાં તંત્રએ રાહત અનુભવી હતી. ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા બંધના એલાનને સફળતા અપાવવા બહુ આકરા પ્રયાસો કર્યા હતા. જેની અસર પણ આદિવાસી પંથકોમાં વર્તાતી હતી.

 

 

 

Share This Article