ગોંડલ નજીક થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિકા આશાબહેન ચૌધરી સહિત ત્રણ શિક્ષકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આશાબહેન ચૌધરીનો પુત્ર ગોંડલ ખાતે અભ્યાસ કરતો હતો અને તે બીમાર પડતાં તેને લેવા માટે આશાબહેન અન્ય બે શિક્ષકો સાથે કાર દ્વારા ગોંડલ આવી રહ્યા હતા. વહેલી સવારે ગોંડલ નજીક તેમની કાર પુલ પરથી નીચે ખાબકતાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ કરુણ ઘટનાને લઈને પૂજ્ય મોરારિબાપુએ ઊંડું દુઃખ વ્યક્ત કરી મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ, તેમણે મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 45,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહાય રકમ ટ્રસ્ટ દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
આ ઉપરાંત, ઉધમપુર નજીક થયેલા બસ અકસ્માતમાં એક જવાન શહીદ થયા તેમજ ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા. તેમના પરિવારજનોને પણ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. તેમજ બગસરા નજીક બે મોપેડ સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોના પરિવારજનોને રૂપિયા 30,000ની સહાયતા આપવામાં આવી છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોની આત્માની શાંતિ અને નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તથા શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી છે.
