ગુજરાતમાં મોદીના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત ગુજરાત પહોંચી રહ્યા છે. આ ગાળા દરમિયાન તેમના જુદા જુદા કાર્યક્રમો છે. મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવનાર છે. અમદાવાર એરપોર્ટથી લઇને શહેરના જુદા જુદા માર્ગો ઉપર તિરંગા ધ્વજ સાથે લોકો ઉભા રહેશે. મોદી ચાર માર્ચથી બે દિવસના પ્રવાસે પહોંચી રહ્યા છે. સોમવારના દિવસે વડાપ્રધાન વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેન-ફેઝ એક તથા અસારવા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત ભવનનું ઉદ્‌ઘાટન કરશે.

આ ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન રહેશે. જે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી છ કિલોમીટરના રુટ ઉપર ચાલશે. આ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વની આઠમી અજાયબી સમાન જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણના ભાગરૂપે અમદાવાદના એસ.જી.હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી અંદર જાસપુર ગામ ખાતે આગામી ચોથી માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના હસ્તે થનારા આ મહાભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દંતાલી આશ્રમ, પેટલાદના સંત શ્રી સÂચ્ચદાનંદજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ સહિતના અનેક મહાનુભાવો હાજર રહેશે. એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે મા ઉમિયાના ૧૦૦ મીટર ઉંચા અને ભવ્યાતિભવ્ય મંદિર સહિત વૈશ્વિક અજાયબી સમાન વિશ્વ ઉમિયાધામ સંકુલ ૩૦ લાખ ચોરસફુટ વિસ્તારમાં નિર્માણ પામશે, જે આગામી પાંચથી દસ વર્ષમાં પૂર્ણ થશે.

Share This Article