સૂરતઃ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ અને મોબાઈલ ચોરીનું પ્રમાણ વધ્યું હોઈ, આવા ગુનાઓને શોધી કાઢવા માટે આઈએમઈઆઈ નંબરનું ટ્રેકિંગ કરી ગુનેગારોનું પગેરું મેળવી શકાય છે. તેથી સુરત જીલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સંજય વસાવાએ જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ કે કોઈ વ્યકિતઓ દ્વારા થતી લે-વેચ સંબંધે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જે પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશ્નરેટ સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં જુના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવું ફરજીયાત બનાવીને નિયત કરેલા કોલમવાઈઝ મોબાઈલની વિગત, આઈએમઈઆઈ નં.ની વિગત વગેરેના રજીસ્ટરો નિભવવાના રહેશે. આ ઉપરાંત કોઈ એક વ્યકિત બીજી વ્યકિત પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે મોબાઈલ વેચનાર વ્યકિત પાસેથી ખરીદનાર વ્યકિતએ મોબાઈલ વેચનાર વ્યકિતનું આઈ-ડી પ્રુફ અને પુરુ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. સીમકાર્ડ ખરીદનાર તથા વેચનારાઓએ પણ રજીસ્ટરો નિભાવવાના રહેશે. આ જાહેરનામું તા.૫/૦૩/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.