દરેક પરિવાર સુધી પહોંચવા માટે મહિલાઓને સૂચન કર્યું

News KhabarPatri
By News KhabarPatri 4 Min Read

અમદાવાદ :  આજરોજ રાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં પ્રવચન કરતા રક્ષામંત્રી નિર્મલા સીતારામનએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાને ભાવપૂર્વક યાદ કરી આજના સભાગૃહનું નામાભિકરણ તેમના નામે કરાયુ તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૬૦ વર્ષમાં ક્યારેય ન થયા હોય તેવા વિકાસના આમૂલ પરિવર્તનરૂપ સિધ્ધ થયેલ અભૂતપૂર્વ કાર્યો છેલ્લા ૬૦ મહિનામાં થયા છે તેમ તેમણે જણાવ્યુ હતુ. આજે દેશમાં કેબીનેટ કમિટિ ઓન સીક્યોરિટિમાં ૦૨ મહિલા મંત્રીઓ ભાજપા શાસિત રાજ્યોમાં ૧૭ મહિલા મંત્રીઓ, સાત રાજ્યોમાં મહિલા રાજ્યપાલ, ૪૦ મહિલા સાંસદ, ૪૦૦ વિધાનસભા સભ્યો, ૧૫૦ મહિલા મેયર, ૦૯ રાજ્ય મહિલા મંત્રીઓ જ નહીં પરંતુ, સુપ્રિમ કોર્ટમાં ત્રણ મહિલા જજો અને ૦૭ મહિલા ફાઇટર પાઇલોટ્‌સ પણ આ દેશમાં અગ્રતા ક્રમે પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમ રક્ષામંત્રીએ જણાવ્યું હતું.

છેક ઇસ. ૨૦૦૮થી ભાજપામાં ૩૩ ટકા મહિલા આરક્ષણ અમલમાં છે. જે આજસુધી ભારતના રાજકારણમાં એક અદ્વિતીય ઘટના છે તેમ તેમણે જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના જે અભૂતપૂર્વ કાર્યો થયા છે તે અંગે ઉપસ્થિત હજારો મહિલા કાર્યકરોનું ધ્યાન દોરતાં નિર્મલાએ જણાવ્યુ હતુ કે, સપ્ટેમ્બર-૨૦૧૪માં મિશન મોડમાં શરૂ થયેલ જનધન યોજના દ્વારા જે ૩૩ કરોડ બેંક ખાતા ખુલ્યા તેમાં ૫૩ ટકા બેંક ખાતા મહિલાઓના નામે ખુલ્યા છે. મુદ્રા યોજના દ્વારા જે ૧૫ કરોડ લોકોને નાણાકિય સહાય મળી છે તેમાંથી ૭૩ ટકા મહિલાઓ છે. ૫૦ લાખ સેલ્ફ હેલ્પ ગૃપના સભ્યોમાંથી ૪૫ લાખ કરતા વધુ એટલે કે, ૯૧ ટકા લાભાર્થીઓ મહિલા છે. પ્રસુતિ દરમ્યાન મળવાપાત્ર રજાઓને ૨૬ અઠવાડિયા સુધી એટલે કે, ૬ મહિના સુધી સત્તાવાર કરવા બદલ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

તેમાં પણ ૧૫ હજારથી ઓછા પગાર મેળવતી બહેનોને પૂરો પગાર મળે તેવી સગવડ પણ કરવામાં આવી છે. માતૃવંદના યોજના દ્વારા ૫૦ લાખ મહિલાઓને ૬૦૦૦ રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ નરેન્દ્રભાઇની સરકારે પૂરી પાડી છે. ૦૮ જેટલા રાજ્યોમાં ૩૩ ટકા આરક્ષણ પોલીસ ભરતીમાં મહિલાઓ માટે કરનાર પણ ભાજપાની સરકાર છે. સુકન્યા સમૃધ્ધિ યોજના દ્વારા અત્યાર સુધીમાં ૧.૨૬ કરોડ એકાઉન્ટમાં ૨૦ હજાર કરોડ રૂપિયા જમા થઇ ચૂકેલ છે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા માતા તથા બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ સ્વીકાર્યુ છે.

કોંગ્રેસ દ્વારા ફેલાવાતા જુઠ્ઠાણા અને અપપ્રચાર અંગે મક્કમતાથી જવાબ આપતા રક્ષામંત્રી નિર્મલાએ રફેલ સોદા અંગે સુપ્રિમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની નાપાક રાજનીતિને બેનકાબ કરી હતી. શું કોંગ્રેસ સુપ્રિમ કોર્ટથી પણ ઉપર છે ? તેવો વેધક પ્રશ્ન પૂછીને રફેલ અંગે જનતાને ગુમરાહ કરવાનું કોંગ્રેસનું ષડયંત્ર ક્યારેય સફળ થવાનું નથી તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ. છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી ગુજરાતમાં સોહરાબુદ્દીન-તૂલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર અંગે જુઠ્ઠાણા ફેલાવનાર તથા આપણા લાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક પોલીસ અધિકારીઓ સામે બીનપાયાદાર આક્ષેપો દ્વારા રાષ્ટ્રદ્રોહી તત્વોને ઉત્તેજન આપનાર કોંગ્રેસના જુઠ્ઠાણાનો પરપોટો આજરોજ સીબીઆઇ કોર્ટના ચૂકાદા પછી ફૂટી ગયો છે અને ગુનાહિત તત્વો સામે થયેલ એન્કાઉન્ટર અંગે સાચુ સત્ય આજે બહાર આવી ચૂક્યુ છે તેમ તેમણે જણાવ્યુ હતુ. કાયમ જુઠ્ઠાણાનો સહારો લઇને આપણા સમાજોપયોગી તથા લોકહિતના કાર્યો અંગે કલુષિત વાતાવરણનું નિર્માણ કરનાર કોંગ્રેસના અપપ્રચારનો આપણે સંગઠીત થઇને સામનો કરવાની નિર્મલાએ સૌને હાકલ કરી હતી. આજથી લઇને ૨૦૧૯ લોકસભા ચૂંટણીઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતિ સાથે ભવ્યાતિભવ્ય વિજય મેળવવા માટે દેશના પ્રત્યેક પરિવાર તથા મહિલાઓ સુધી પહોચવાનો સંકલ્પ આ પ્રસંગે નિર્મલા સીતારામનએ સૌને લેવડાવ્યો હતો.

Share This Article