અમદાવાદ : કોંગ્રેસ કારોબારની બેઠક પહેલા જુદા જુદા કાર્યક્રમ યોજાયા હતા. ઐતિહાસિક ગાંધી આશ્રમમાં દાંડી યાત્રાના ૮૯ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે અમદાવાદમાં પહોંચ્યા હતા. ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા સાથે કોંગ્રેસના તમામ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. જ્યારે મનમોહન સિંહ વિશેષ કારમાં આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તમામનુ સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસના અન્ય કાર્યક્રમ શરૂ થયા છે. લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામની નજર હવે કોંગ્રેસની આની કારોબારી પર કેન્દ્રિત થઇ ગઇ છે.કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ કારોબારી બેઠકમાં ભાગ લઇ રહ્યા છે.
અનેક ભરચક કાર્યક્રમો હોવાથી કોંગ્રેસના કાર્યકરો સંપૂર્ણપણે સજ્જ થઇ ગયા છે અને કારોબારીને સફળ બનાવવામાં લાગી ગયા છે. સને ૧૯૬૧ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર કોંગ્રેસ વ‹કગ કમીટીની બેઠક યોજાઇ રહી છે ત્યારે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની જાહેરસભા, રોડ શો સહિતના ભરચક કાર્યક્રમોને કોંગ્રેસના હજારો કાર્યકરો અને આગેવાન-નેતાઓમાં ભારે ઉત્સાહ અને જોશ છવાયો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ, એહમદ પટેલ, પી.ચિદમ્બરમ્, રણદીપ સૂરજેવાલા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં પહોંચી ગયા છે. કોંગ્રેસના ઉપરોકત કાર્યક્રમોને લઇ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સ્વાગતને લઇ તેમ જ તેમની જાહેરસભા અને રોડ શોને લઇ પણ જારદાર તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી.
સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ સીધા સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પહોંચી પ્રાર્થનાસભામાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. ત્યારબાદ સવારે ૧૦-૩૦ વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે કોંગ્રેસ વર્કિગ કમીટીની બેઠકમાં પહોંચ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણીને લઇ મહત્વની રણનીતિ, નિર્ણયો અને રૂપરેખા સહિતની વ્યૂહાત્મક કૂટનીતિ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. બપોરે ૧-૩૦ વાગ્યે અડાલજ ત્રિમંદિર પાસે જાહેરસભા અને રોડ-શોના કાર્યક્રમો થઇ રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીને લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં છ એસપી, ૧૬ ડીવાયએસપી, ૧૬૦૦થી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થામાં તૈનાત કરી દેવાયા છે.

















