ટીવી પર હીટ થઇ રહેલી એવી સિરિયલ ‘દિલ મિલ ગયે’માં જિગ્નેશનો રોલ કરી રહેલા અભિનેતા કરણ પરાંજપેનું ગંભીર હાર્ટ અટેકના પગલે માત્ર ૨૬ વર્ષની વયે અવસાન થતાં ટીવી જગતમાં અજંપો ફેલાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે કરણ એના માતાપિતાનું એકનું એેક સંતાન હતો. એ હસમુખો અને મિલનસાર હતો. રવિવારે સવારે ૧૧ વાગ્યે એની માતાએ એને ઊઠાવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એ મરણ પામ્યો છે. ડૉક્ટરના કહેવા મુજબ એને ઊંઘમાં જ ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો.
જયારે આ સમાચાર ટીવી સીરીયલના સેટ પર સૌને મળ્યા ત્યારે સૌ કોઈ આ જાણીને અચંબિત થઇ ગયા હતા. અને આટલી નાની ઉંમરમાં આ કલાકાર આ રીતે ચાલ્યો ગયો એ વાતે સહુ કોઈ ઉદાસ હતા. કરણે ‘દિલ મિલ ગયે’ ઉપરાંત ‘સંજીવની’ સિરિયલમાં પણ અભિનય કર્યો હતો. ઉપરાંત એ ઘણી સિરિયલ સાથે ક્રિયેટિવ હેડ તરીકે પણ સંકળાયેલો હતો.

















