કેરળ પુર : યથાશક્તિ મદદ કરવા લોકોને શાહની અપીલ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ: પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદી જણાવે છે કે, કેરળ રાજ્યમાં આ સદીની સૌથી ભયંકર વિનાશકારી કુદરતી આફત અતિવૃષ્ટિ અને પૂરના સ્વરૂપે આવેલ છે. જેમાં ૪૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો અસરગ્રસ્ત થયા છે તેમજ મોટા પાયે ખેતી અને જાનમાલનું નુકશાન થયેલ છે. આ વિનાશકારી પૂરની ભયાનકતા અને મોટા પાયે થયેલ નુકશાનને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકારે ૬૦૦ કરોડની સહાય તેમજ ભાજપા શાસિત રાજ્યો દ્વારા પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે પણ ૧૦ કરોડ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બધા જ રાજ્યોના ભાજપા સંગઠન એકમોને કેરળની આ દુઃખદ્‌ ઘટનામાં પોતાની યથાશક્તિ મુજબ સેવાકાર્યમાં મદદરૂપ થવા, આર્થિક સહાય આપવા તેમજ પૂર અસરગ્રસ્ત લોકોને વહેલામાં વહેલી તકે રાહતસામગ્રી પહોચાડવા માટે આહવાન્‌ કરેલ છે.

જે અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાતના તમામ જીલ્લા/મહાનગરના ભાજપા સંગઠનને તથા ભાજપા કાર્યકરોને આ સેવાકાર્યમાં જોડાવા માટેની અપીલ કરતા જણાવ્યુ હતુ કે, કેરળમાં આપણા બાંધવો મુશ્કેલીમાં છે ત્યારે માનવતાકાજે અને દેશકાજે તેમની આ મુશ્કેલીમાં મદદરૂપ થવુ અને સહાય પૂરી પાડવી એ આપણા સૌની એક ભારતીય તરીકે નૈતિક ફરજ છે.

દરેક જીલ્લા/મહાનગર ભાજપા કાર્યાલય ખાતે રાહતસામગ્રી એકઠી કરી તેમજ યથાશક્તિ આર્થિક મદદ માટે પણ પૂરસહાય માટે નિર્ધારિત ટ્રસ્ટના નામે ચેક એકત્રિત કરી માનવસેવાના આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે ભાજપાના સૌ કાર્યકરોને નમ્ર અપીલ કરૂં છું.

Share This Article