ભારતીયોએ માત્ર ત્રણ અઠવાડિયામાં જ માલદીવને બતાવી પોતાની તાકાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુંદર બીચ અને લક્ઝરી ટુરિઝમ માટે પ્રખ્યાત માલદીવના પર્યટનને ભારત તરફથી મોટો ફટકો પડ્યો છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા મુજબ માલદીવની મુલાકાતે આવનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ત્રણ અઠવાડિયા પહેલા ભારતીયો માલદીવ જવાની બાબતમાં વિશ્વમાં ત્રીજા સ્થાને હતા, જે હવે પાંચમા સ્થાને આવી ગયા છે. માલદીવ માટે ભારતીય પ્રવાસીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માલદીવની મુલાકાત લે છે. વર્ષ ૨૦૨૩માં માલદીવના ટૂરિઝમ માર્કેટમાં ભારતીયોનું યોગદાન ૧૧% હતું. પરંતુ તાજેતરના વિવાદ બાદ માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. માલદીવની ટુરિઝમ વેબસાઈટ અનુસાર, વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં માલદીવની મુલાકાત લેનારા પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓ ત્રીજા સ્થાને હતા જેમાં તેમનો બજાર હિસ્સો ૭.૧% હતો. તે સમયે ચીન માલદીવમાં આવનારા પ્રવાસીઓની યાદીમાં ટોપ ૧૦ દેશોમાં પણ નહોતું. પરંતુ ભારત-માલદીવ વિવાદ બાદ માલદીવની ટુરિઝમ ડેમોગ્રાફીમાં ઘણો બદલાવ આવ્યો છે. ચીને હવે ભારતનું સ્થાન લીધું છે એટલે કે ચીની પ્રવાસીઓ માલદીવની મુલાકાત લેતા ત્રીજા સૌથી મોટા પ્રવાસીઓ છે. ચીન પછી બ્રિટન ચોથા સ્થાને છે. માલદીવની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓમાં આ ઘટાડો માલદીવ સાથે ભારતના ચાલુ રાજદ્વારી તણાવ વચ્ચે આવ્યો છે જેમાં માલદીવના નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો અને વીડિયો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જાન્યુઆરીની શરૂઆતમાં વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંના સુંદર બીચની તસવીરો શેર કરતી વખતે તેમણે લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી કરી હતી. પીએમ મોદીના આ ટ્‌વીટના જવાબમાં માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે લક્ષદ્વીપની માલદીવ સાથે કોઈ સ્પર્ધા નથી. તેમના ટ્‌વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું. લોકો કહેવા લાગ્યા કે તેઓ માલદીવને બદલે લક્ષદ્વીપ જવાનું પસંદ કરશે. વધી રહેલા વિવાદને જાેઈને માલદીવની સરકારે તેના નાયબ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ મામલો શાંત થયો ન હતો અને લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

Share This Article