અયોધ્યા : બાબરી ધ્વંસની વરસી પહેલા સઘન સુરક્ષા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બાબરી મસ્જિદ ધ્વંસની ૨૭મી વરસીના એક દિવસ પહેલા જ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરી દેવામાં આવી છે. વરસીના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. બાબરી વરસી શાંતિપૂર્ણરીતે પસાર થાય તેની ખાતરી કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાવચેતીરુપે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના હાલના ઐતિહાસિક ચુકાદા બાદ રામમંદિર નિર્માણની ગતિવિધી અને રામ મંદિર નિર્માણની માંગ તીવ્ર બન્યા બાદ સમગ્ર અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. હાલમાં હુમલાની દહેશત વચ્ચે  તમામ જગ્યાએ સાવચેતી રાખવામાં આવી હતી. મંદિર શહેર અયોધ્યામાં હજારો સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા  છે.

પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અયોધ્યા અને ફેજાબાદ ખાતે ખાસ પગલા લેવામા આવ્યા  છે. બાબરી મસ્જિદ ધ્વંસની વરસી શાતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી ચુક્યા છે.

અયોધ્યામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મિટિંગ પણ ગઇકાલે જ યોજાઈ ગઈ હતી. ફૈઝાબાદ અને અયોધ્યામાં હાઈએલર્ટ પર સુરક્ષા દળોને રખાયા હતા. સરિયુ નદી ખાતે પીએસીનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. બાબરી મસ્જિદ ધ્વંસને આવતીકાલે ૨૭ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી.

Share This Article