સુરત: સુરત જિલ્લામાં સોમવારે સવારથી જ મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી જેમાં સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારના ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીના ફક્ત ૬ કલાકમાં ૭.૨૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જાેરદાર બેટિંગ કરતાં ૭ થી ૧ ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લાલ દરવાજા પાસે બેંકના કર્મીઓ પાણીમાં ફસાયા હતા. પાણીમાં ફસાયેલા ૧૨ કર્મચારીઓનું મહિધરપુરા પોલીસ સ્ટાફે ફાયર વિભાગ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે, બેગમપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાયું છે. રાંદેર સિંગણપોર કોઝવે બંધ કરાયો છે. સુરતના કામરેજમાં ૧.૮૧ ઇંચ વરસાદ, તલાલામાં ૧.૩૪ ઇંચ, વ્યારામાં ૧.૧ ઇંચ, વાલોદ અને માંડવીમાં ૧-૧ ઇંચ વરસાદ, કપરાડામાં ૭૫ મીમી, ઉમરગામમાં ૭૧ મીમી વરસાદ, બારડોલીમાં ૪૭ મીમી, માળીયાહાટીના ૪૭ મીમી વરસાદ, ડેડીયાપાડામાં ૪૩ મીમી, વાપીમાં ૩૯ મીમી વરસાદ ખાબકયો છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.