અમદાવાદ: રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં વિક્રમજનક ૧૦ કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડીને કૃષિ હિતલક્ષી સરકાર તરીકે વધુ એક સિદ્ધિ મેળવી છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો અને ખેતીના ઉત્કર્ષ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેમાં પુરતા વીજ વ્યવસ્થાપન અને આયોજનના કારણે ખેડૂતોને પૂરતી વીજળી પુરી પાડીને ગુજરાતે વિક્રમજનક સિદ્ધિ મેળવી છે.
આ સંદર્ભે ઊર્જા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ રાજ્યના ખેડૂતોને જ્યારે જ્યારે જરૂરિયાત જણાઈ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરિયાત મુજબ સરકારે તાત્કાલિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો પુરો પાડ્યો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે દૈનિક ૬ થી ૭ કરોડ યુનિટ વીજળીનો વપરાશ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને દસ કલાક વીજ પુરવઠો આપવાના સરકારના ખેડૂતલક્ષી નિર્ણયને લઈને આ વપરાશ ૧૦ કરોડ યુનિટને પાર કરી ગયો છે જે વિક્રમજનક ઐતિહાસિક સિદ્ધિ છે.
ગુજરાત ભૌગોલિક રીતે અન્ય રાજ્યોની સરખામણીએ નાનું રાજ્ય છે છતાં ગુજરાતે કૃષિક્ષેત્રે સૌથી વધુ યુનિટ પુરા પાડ્યા છે. અહીં મહત્વની વાત એ છે કે, તેલંગાણા રાજ્યમાં ૨૩ લાખ ખેડૂતોને ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે છતાં દૈનિક ૭ કરોડ યુનિટ જ વીજળી વપરાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતો વરસાદ થવાથી ખેડૂતોના પ્રતિનિધિઓ, લોક પ્રતિનિધિઓ અને ખેડૂત સંગઠનો તરફથી ખેડૂતોને આઠ કલાકને બદલે બે કલાક વધારીને દસ કલાક વીજ પુરવઠો આપવાની રજુઆતોને રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને ત્વરિત નિર્ણય કરીને ખેડૂતોને તા.૮/૮/૨૦૧૮થી કૃષિ ક્ષેત્રે સતત થ્રી ફેઝ દસ કલાક વીજ પુરવઠો આપવાનું શરૂ કરેલ છે.
રાજ્ય સરકારના આ નિર્ણયના લીધે રાજ્યના ખેડૂતો તેમના પાકને પૂરતું પાણી આપી શકશે. રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ અંગે જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૬ વર્ષથી ખેડૂતોને દર વર્ષે સરેરાશ ૧ લાખ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે. ગત નાણાકીય વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં ૧.૨૧ લાખથી પણ વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે તથા ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૨૨ લાખથી પણ વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવા રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. આ સરકાર ખેડૂતોના હિતો માટે શક્ય તે તમામ કરી છુટવા માટે પ્રતિબદ્ધ છે તેમ પણ મંત્રીએ અંતે ઉમેર્યું હતું.