ગુજરાતમાં આગામી ત્રણ દિન કોલ્ડવેવ રહી શકે છે

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે જેથી લોકોને ઉત્તરાયણના પર્વ દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ રહેશે. અલબત્ત આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે પરંતુ હાલમાં તાપમાનમાં ઉતારચઢાવની સ્થિતિ રહેશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને ૮.૬ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ઉતારચઢાવવાળો રહ્યો હતો. વડોદરામાં આજે લઘુત્તમ તાપમાન ૧૦.૪, વલસાડમાં ૯.૬ અને અમરેલીમાં ૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો.

હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોઇપણ જગ્યાએ કોલ્ડવેવની વાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આનો મતલબ એ થયો કે ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થવાના સંકેત છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.

હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે.

Share This Article