મોબાઈલના લીધે બાળકોની ઓછી વયમાં એકાગ્રતા અને ક્ષમતા ઘટી શકે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કેટલીક વખત બાળકો રડે છે ત્યારે પેરેન્ટસ તેમને શાંત કરવા માટે મોબાઇલ અથવા તો ટેબ્લેટ આપી દે છે. આના કારણે બાળકો તરત શાંત તો થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં આનાં ગંભીર પરિણામો સામે આવી શકે છે. હકીકતમાં નવ વર્ષની વય પૂર્ણ થયા બાદ આ પ્રકારનાં બાળકો જ્યારે બહારના સમાજનાં અન્ય બાળકોની સાથે સંપર્કમાં આવે છે ત્યારે વધારે સ્ક્રીન ટાઇમની ટેવના લીધે બીજા સાથે જલદી મિત્રતા કરી શકતાં નથી. તેમની સાથે યોગ્ય રીતે તાલ બેસાડી શકતાં નથી. તેમની એકાગ્રતા ઘટે છે. સાથે સાથે તેમની કામ કરવાની ક્ષમતાને પણ અસર થાય છે.

સ્ક્રીનની બાળકો પર થઇ રહેલી અસરને જાણવા માટે હાલમાં જ હાર્વર્ડ યુનિવર્સિટી સેન્ટર ઓફ ડેવલપિંગ ચાઇલ્ડમાં અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં કેટલીક ઉપયોગી બાબતો સામે આવી હતી. આમાં જાણવા મળ્યું કે નવ વર્ષની વય સુધી વધારે પ્રમાણમાં મોબાઇલ અથવા તો ટેબ્લેટનો ઉપયોગ કરનારાં બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન નબળું થઇ જાય છે. શોધમાં આ બાબત પણ સપાટીએ આવી કે આના કારણે માનસિક આરોગ્યને નુકસાન થાય છે. અભ્યાસમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને બાળપણમાં મોબાઇલ અથવા તો ટેબ્લેટ આપવાથી નુકસાન થાય છે. મોબાઇલ આપવાની બાબત બાળપણને આંચકી લેવા સમાન છે. બાળકોને સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રાખવાની જરૂર છે. આના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે. સૌથી પહેલાં તો સ્ક્રીન ટાઇમ માટે સમય નિર્ધારિત કરવાની જરૂર છે. બાળકોને વધુમાં વધુ પ્રશ્ન કરવાની તક આપો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમના પ્રશ્નોના જવાબો પણ આપો. બાળકોને નાના નાના ઘરનાં કામ સોંપી શકાય છે. જેમ કે બાળકોને કપડાં વ્યવસ્થિત રીતે મૂકવાની પણ સમજણ આપવી જોઇએ.

Share This Article