ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તાઃ ૦૧-૦૭-૨૦૨૨થી ૪% ટકા અને તા. ૦૧-૦૧-૨૦૨૩થી ૪% ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી ર્નિણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા. ૦૧-૦૭-૨૦૨૨ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા. ૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૭-૨૦૨૨ તથા તા.૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો ર્નિણય કર્યો છે.

તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-૨૦૨૩ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-૨૦૨૩ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.

Share This Article