૮૦૦૦ કરોડના કાંડ સંદર્ભમાં સીબીઆઇ દ્વારા તપાસનો દોર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  વડોદરાની સ્ટર્લિગ ગ્રુપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગ્રુપ ઓફ કંપનીની વધુ તપાસ માટે દિલ્હી સી.બી.આઈ.ની ટીમે વડોદરા ખાતે બે દિવસ માટે આવી પહોંચી છે. સમગ્ર તપાસનો રીપોર્ટ અંતે કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે તેવી અગત્યની માહિતી સામે આવી રહી છે. ડાયમન્ડ પાવરના રૂ.૨,૬૦૦ કરોડ અને સ્ટર્લિંગ ગ્રુપ સામે રૂ.૫૩૮૩ કરોડની બાકી લોન અંગે તપાસ એજન્સીઓએ ફરિયાદ નોંધી હતી, જેના અનુસંધાનમાં હવે સીબીઆઇના અધિકારીઓએ વડોદરામાં ધામા નાંખ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાની ર્સ્ટલિંગ ગ્રુપની સામે રૂ.૫૩૮૩ કરોડની બેંક લોન કૌભાંડના હવાલા કૌભાંડ અને ડાયમંડ પાવર ગ્રુપના સંચાલકો દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરી રૂ.૨,૬૦૦ કરોડના બેંક લોન કૌભાંડ અંગે સીબીઆઈમાં ફરિયાદ થઈ હતી.

ડાયમંડ પાવરના અમિત અને સુમિત ભટનાગરે વિવિધ કંપનીઓ ઉભી કરી રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી રૂ.૫,૦૦૦ કરોડની લોન મેળવી તે લોન ભરપાઈ કરી ન હતી. ઉપરાંત, તેમણે કંપનીના શેરો ગીરવે મુક્યા હતા. એટલું જ નહી બોગસ દસ્તાવેજી પુરાવા અને ઓછી કિંમતની મિલકતોનું વધુ વેલ્યુએશન કરાવીને લોન મેળવી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું. આખરે રૂ.૨,૬૦૦ કરોડના લોન કૌભાંડ અંગે સી.બી.આઈ.માં ભટનાગર બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં સીબીઆઇના ગુજરાતમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જમા કરેલા પુરાવા અને તેઓની અન્ય કંપનીઓની માહિતીની ચકાસણી દિલ્હી સીબીઆઇ અધિકારીઓની ટીમે કરી હતી. અમિત ભટનાગર કેસમાં જવાબદાર બેન્કના કેટલાક અધિકારીઓ અને ડાયરેકટરો અંગેની પણ માહિતી મેળવવામાં આવી છે. એજ પ્રમાણે ર્સ્ટલિંગ ગ્રુપના સંચાલક નિતિન અને ચેતન સાંડેસરા દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરી રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી રૂ.૧૭૦૦૦ કરોડની લોન મેળવી હવાલા કૌભાંડ આચરાયું હતું. એટલું જ નહીં આવકવેરાના દરોડા દરમ્યાન વર્ષ ૨૦૧૧ની ડાયરી મળી આવી છે.  જેમાં આઇ.પી.એસ., આઇ.એ.એસ., આઇ.આર.એસ. અધિકારીઓ સહિત કેટલાક રાજકારણીઓના નામો પણ ખુલ્યા છે.

વર્ષ ૨૦૧૧ની ડાયરીમાં ઇન્કમટેક્સના ત્રણ કમિશનર કક્ષાના અધિકારીઓના નામ ખુલતા તેમની સામે સી.બી.આઇ.એ ફરિયાદ દાખલ કરી હતી. સ્ટર્લિગ ગ્રુપ હવાલા કૌભાંડ આચરવા ૧૪૪ શેલ કંપનીઓ ઉભી કરાઇ હતી જે અંગેની તપાસ પણ ચાલી રહી છે. આ કેસ બાબતે સીબીઆઈના બે અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ પણ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જા કે, હવે દિલ્હી સીબીઆઇની ટીમના અધિકારીઓએ વડોદરામાં ધામા નાંખતાં કેસની તપાસમાં મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવે તેમ પણ મનાઇ રહ્યું છે.

Share This Article