ભાજપના ધારાસભ્ય તરીકે બાવળિયાએ લીધેલા શપથ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં જસદણ બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપ સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. વિધાનસભા સંકુલ ખાતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કુંવરજી બાવળીયાએ રાજકોટ કે અન્ય બેઠક પરથી તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવાના નથી તેમ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપની જીત જ તેમનું મુખ્ય લક્ષ્ય હશે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપના વિજય માટે તેઓ મહેનત કરશે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જસદણ બેઠકમાં તેમના રાજીનામાથી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળીયાએ ૧૯૯૮૫ મતોથી વિજય મેળવી કોંગ્રેસને ભારે ઝટકો આપ્યો હતો. જસદણ બેઠક પરથી વિજયી થયેલા રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ધારસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. લગભગ છ મહિનામાં ફરી ધારાસભ્ય બનેલા કુંવરજી બાવળીયાને ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લેવડાવ્યા હતા.

કુંવરજી બાવળીયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા પછી પોતાની પ્રતિક્રિયામાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. પરંતુ સૌરાષ્ટ વિસ્તારમાં ભાજપના વિજય માટે તેઓ ભારે મહેનત કરશે. આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય દંડક પંકજ દેસાઈ તેમજ અન્ય કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુંવરજી બાવળિયા આ અગાઉ પાંચ વખત કોંગ્રેસમાંથી જસદણ બેઠક પર જ ધારાસભ્ય પદે રહી ચુક્યા છે. જયારે ડીસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા થયેલા કુંવરજી બાવળિયા  હાલની પેટાચૂંટણીમાં ભાજપમાંથી વિજેતા થયા છે.

Share This Article