અમદાવાદ : આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહે ગુજરાત બાર કાઉન્સીલને ખાસ અનુરોધ કર્યો હતો કે, બાર કાઉન્સીલે જુનીયર અને ફ્રેશર વકીલો માટે ટૂંકા ગાળાના ત્રણથી છ મહિનાના કોર્સ શરૂ કરવા જોઇએ, જેમાં તેઓને કોર્ટમાં કેવી રીતે દલીલો કરવી, કોર્ટની ગરિમા કેવી રીતે જાળવવી, વકીલાતના એથીક્સ, પક્ષકારોને ઝડપી ન્યાય અપાવવામાં તેમની ભૂમિકા સહિતના બાબતોની પ્રેકટીકલ ટ્રેનીંગ આપવી જોઇએ.
બાર કાઉન્સીલે વકીલોની હડતાળના બદલે કોઇપણ સમસ્યા કે પ્રશ્નના નિરાકરણમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી બાર અને બેંચ વચ્ચે સમાધાનકારી પ્રયાસો કરવા જોઇએ અને વકીલોને હંમેશા જયુડીશરીની ગરીમા, વકીલાતના વ્યવસાયની નીતિમત્તા અને પક્ષકારોને ઝડપી તેમ જ અસરકારક ન્યાય માટે સતત પ્રોત્સાહિત કરવા જોઇએ. કેસોના ઝડપી નિકાલમાં સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા નંબરે હોઇ જસ્ટિસ એમ.આર.શાહે ગૌરવની લાગણી વ્યકત કરી હતી અને છેલ્લા બે વર્ષમાં પાંચથી છ કેસોના નિકાલ કરવાના ગુજરાતના બાર અને બેંચના પ્રયાસની સરાહના કરી આ માટે લોકઅદાલત અને મીડિએશનના માધ્યમની પણ તેમણે પ્રશંસા કરી હતી.