રાજદ્રોહ કેસ : અંતે અલ્પેશ કથિરિયાને આપેલા જામીન

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન આજે આખરે ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટે છ મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. અલ્પેશ કથીરિયાને જામીન મળી જતાં પાસના કાર્યકરો અને પાટીદાર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી એવા અલ્પેશ કથીરિયાની તા.૧૮ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયા વોન્ટેડ હતો. પાસ કન્વીનર અલ્પેશને જામીન મળતા હાલમાં સુરતના અલ્પેશ કથીરિયાના જામીનથી પરિવારમાં ખુશીનો માહોલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ખાસ કરીને અલ્પેશ કથીરિયાનો પરિવાર પણ જામીન મંજૂર થવાથી ખુશ થયો હતો. હવે જેલમુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા અનામત આંદોલનનો ચહેરો બનીને આંદોલન ચલાવે છે કે નહીં તેની પર સૌની નજર રહેશે. જો કે, હાઇકોર્ટે કેસની તપાસમાં સાથ-સહકાર આપવા સહિતની વિવિધ શરતો સાથે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કર્યા હતા.

Share This Article