અમદાવાદ : આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) શિવ અને શક્તિ એટલે કે જગતજનની મા ઉમિયાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જે વિશ્વ ઉમિયાધામ તરીકે જાણીતું છે. ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ – જાસપુર ખાતે સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ “આશીર્વાદનો દીવો” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ અને માનનીય સાંસદ (અમદાવાદ પૂર્વ) એચ. એસ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યકારી પ્રમુખ, હોદ્દેદારઓ, ટ્રસ્ટીગણ તેમજ દાતાઓની યજમાની અને ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે હજારો ઉમાભક્તોએ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતના નકશા ઉપર હજારો દિવડા ઝળહળ્યા હતા; સાથે લોકડાયરો અને ભક્તિ સંગીતની રમઝટ દ્વારા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ 150 દીકરીઓ દ્વારા હજારો ઉમાભક્તોને પૂર્ણ ‘વંદેમાતરમ્’નું ગાન કરાવવામાં આવ્યું હતું અને સૌએ સાથે મળી ‘વિકસિત ભારત – 2047’નો સામૂહિક સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે મોદી સાહેબની જીવનગાથા રજૂ કરતાં, તેમના બાળપણથી લઈને આજ દિન સુધીના સામાજિક તથા રાજકીય જીવનકાળનું બાળ કલાકારો દ્વારા સુંદર જીવનદર્શન કરાવવામાં આવ્યું હતું. અંતે જગતજનની મા ઉમિયાની મહાઆરતી સાથે મુખ્યમંત્રી સહિત સૌએ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. જય મા ઉમિયા!

