શું MIની આઈપીએલ સફરનો અંત આવી ગયો? પંડ્યાના નિવેદને મુંબઈના ફેન્ચની ચિંતા વધારી

Rudra
2 Min Read

IPL 2026માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પોતાના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટીમને કરાર પરાજય મળ્યો. આ હાર બાદ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા ખૂબ જ ભાવુક જોવા મળ્યો અને તેમના નિવેદનોથી લાગ્યું કે ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણીએ છે.

આ મેચમાં મુંબઈએ રાયન રેકેલ્ટનની સદી (55 બોલમાં 123 રન)ના આધારે 243/5 નો મોટો સ્કોર ઉભો કર્યો હતો. રેકેલ્ટને પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા. પરંતુ હૈદરાબાદે આ વિશાળ લક્ષ્ય માત્ર 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 249 રન બનાવી હાંસલ કરી લીધું અને 6 વિકેટથી જીત મેળવી.

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે હાર માટે ભેજ જવાબદાર નથી. તેણે કહ્યું, “મને નથી લાગતું કે ભેજે કોઈ મોટી ભૂમિકા ભજવી હોય. હૈદરાબાદે શાનદાર શોટ્સ રમ્યા અને અમે ખરાબ બોલિંગ કરી. 244 રન ડિફેન્ડ કરવા માટે હું મારા બોલર્સને સપોર્ટ કરું છું, પરંતુ આજે અમે સફળ થઈ શક્યા નથી.”

સીઝનમાં ખરાબ પ્રદર્શન અંગે હાર્દિકે કહ્યું કે ટીમે મળેલી તકનો લાભ લીધો નથી. “આ સીઝન અમારા માટે મુશ્કેલ રહી છે. જ્યારે તક મળે ત્યારે તેનો ફાયદો ઉઠાવવો જરૂરી છે. જો આવું નહીં કરો તો તેની સજા ભોગવવી પડે છે. અમે એક ટીમ તરીકે તેવું ક્રિકેટ રમી શક્યા નથી જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ જાણીતી છે,” એમ તેમણે જણાવ્યું.

નિરાશા વચ્ચે પણ હાર્દિકે ટીમના માલિકો અને સ્ટાફનો આભાર માન્યો અને કહ્યું કે ટીમ સુધારવાનો પ્રયાસ કરશે. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાન પર છે અને પ્લેઓફની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. હવે ટીમને આગળ વધવા માટે બાકીના તમામ મેચ જીતવા પડશે અને સાથે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.

Share This Article