ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ શું કહ્યું?

Rudra
By Rudra 2 Min Read

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલની નજીક પહોંચી છતાં અંતિમ ચાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. સુપર-8 તબક્કામાં શ્રીલંકા સામેના મહત્વપૂર્ણ મુકાબલામાં તેને મોટા અંતરથી જીતવાની જરૂર હતી, પરંતુ જીત્યા બાદ પણ જરૂરી નેટ રન રેટ હાંસલ ન કરી શકતા તેનુ અભિયાન સમાપ્ત થયુ છે.

નિર્ણાયક મેચમાં પાકિસ્તાનની જોરદાર બેટિંગ

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 212 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ઓપનર સાહિબજાદા ફરહાને શાનદાર સદી ફટકારી 100 રનની યાદગાર ઇનિંગ રમી અને ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બે સદી બનાવનાર પ્રથમ બેટ્સમેન બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેમના સાથી ફખર ઝમાને 85 રનની ઉત્તમ ઇનિંગ રમી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

શનાકાની તોફાની ઇનિંગ

લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ હાર સ્વીકારી નહીં અને અંત સુધી જંગ ચાલુ રાખ્યો. કેપ્ટન દાસુન શનાકાએ આક્રમક બેટિંગ કરતા 31 બોલમાં 76 રન ફટકારી દીધા. તેમની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાના વરસાદે મેચને રોમાંચક બનાવી દીધી અને મુકાબલો છેલ્લી ઓવર સુધી પહોંચ્યો. જોકે શ્રીલંકા જીતથી પાંચ રન દૂર રહી ગઈ.

જીત છતાં તૂટ્યું સેમિફાઇનલનું સ્વપ્ન

પાકિસ્તાન મેચ જીતવામાં સફળ રહ્યું, પરંતુ સેમિફાઇનલમાં પ્રવેશ માટે જરૂરી રન અંતર મેળવી શક્યું નહીં. નેટ રન રેટ ઓછું હોવાને કારણે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ, જેને કારણે ખેલાડીઓ અને ચાહકોમાં નિરાશા ફેલાઈ.

કેપ્ટન સલમાન આગાએ જણાવ્યું કારણ

મેચ બાદ કેપ્ટન સલમાન અલી આગાએ સ્વીકાર્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમની બેટિંગ અપેક્ષા મુજબ રહી નહોતી. તેમણે કહ્યું કે ટોસ અને ભેજની ભૂમિકાએ પણ પરિસ્થિતિઓને પ્રભાવિત કરી, જેના કારણે બાદમાં બોલિંગ કરવી મુશ્કેલ બની.

તેમણે મધ્યક્રમની કમજોરીને મોટી સમસ્યા ગણાવી અને કહ્યું કે જો ફરહાનને બીજા છેડેથી વધુ સારું સમર્થન મળ્યું હોત અને અંતિમ ઓવરમાં રનની ગતિ જાળવાઈ હોત, તો પરિણામ અલગ હોઈ શક્યું હોત.

Share This Article