ભારતીય ચલણી નોટો પર ગાંધીજી પહેલા કોનું ચિત્ર છપાતું હતુ? 99 ટકા લોકોને નહીં હોય ખબર

Rudra
By Rudra 3 Min Read

દરરોજ આપણા હાથમાંથી પસાર થતી નોટો પર છપાયેલી એક તસ્વીરને આપણે રોજ જોતા હશું, જેથી મનમાં પ્રશ્ન જ ઊભો થતો નથી કે આ નોટ પર મહાત્મા ગાંધીનો ચહેરો હંમેશાથી હતો કે નહીં? આજકાલ મહાત્મા ગાંધી ભારતીય ચલણી નોટોની ઓળખ છે, પરંતુ સ્વતંત્રતા પછીથી જ તેમનું ચિત્ર છપાતું હતું એવું નથી. હકીકતમાં, ભારતીય નોટોના ઈતિહાસમાં ચહેરા બદલાયા છે, નિર્ણયો બદલાયા છે અને આ બદલાવ પાછળ દેશની વિચારધારા અને ઓળખ છુપાયેલી છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધી પહેલા નોટ પર કોનો ચહેરા છપાતું હતું.

ભારતીય નોટો પર તસ્વીરોનો બદલાતો ઈતિહાસ

ભારતમાં કાગળની ચલણી નોટોની શરૂઆત ઔપનિવેશિક સમયમાં થઈ. તે સમયે નોટો માત્ર લેવડદેવડનું સાધન નહોતી, પરંતુ સત્તાનું પ્રતિક પણ માનવામાં આવતી. તેથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય નોટો પર અંગ્રેજ શાસકોની તસ્વીરો છપાતી હતી.

સ્વતંત્રતા પહેલાં કોની તસ્વીરો છપાતી?

બ્રિટિશ રાજ દરમિયાન જાહેર થતી ભારતીય નોટો પર સૌપ્રથમ કિંગ જ્યોર્જ પાંચમનું ચિત્ર છપાયું હતું. તેમના બાદ કિંગ જ્યોર્જ છઠ્ઠાના ચિત્રવાળી નોટો પ્રચલનમાં આવી. આ નોટો બ્રિટનમાં છપાતી અને ભારત માટે મોકલાતી. આ નોટો પર બ્રિટિશ રાજશાહીનો સ્પષ્ટ પ્રભાવ દેખાતો હતો, જે તે સમયની રાજકીય હકીકત દર્શાવતો હતો.

સ્વતંત્રતા બાદ મોટો નિર્ણય

1947માં સ્વતંત્રતા મળ્યા પછી ભારત સરકાર સામે મહત્વનો પ્રશ્ન હતો કે નવા ભારતની કરન્સી પર પણ કોઈ વ્યક્તિનું ચિત્ર હોવું જોઈએ કે નહીં? તે સમયે નિર્ણય લેવાયો કે નોટો પર કોઈ વ્યક્તિનું ચિત્ર નહીં મૂકાય. કારણ એ હતું કે નવી ભારતીય ઓળખ કોઈ એક વ્યક્તિ સાથે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની ભાવના સાથે જોડાય.

આ કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટો પર અશોક સ્તંભનું સિંહ ચિહ્ન મુખ્ય બનાવ્યું. સાથે જ ખેતી, ઉદ્યોગ, વિજ્ઞાન અને વિકાસ સંબંધિત ચિત્રો નોટોની ઓળખ બન્યા.

ગાંધીજીનો પ્રથમ પ્રવેશ ક્યારે થયો?

મહાત્મા ગાંધીના ચિત્ર પ્રથમવાર 1969માં નોટ પર દેખાયું. તે તેમની જન્મશતાબ્દીનો પ્રસંગ હતો. તે સમયે જાહેર કરાયેલ સ્મારક નોટ પર ગાંધીજી બેઠેલા દેખાતા હતા અને પાછળ સેવાગ્રામ આશ્રમની ઝલક હતી. જોકે આ નોટ મર્યાદિત હેતુ માટે હતી અને નિયમિત ચલણી નોટ ગણાતી નહોતી.

1987માં જ્યારે 500 રૂપિયાની નોટ ફરીથી જાહેર કરવામાં આવી, ત્યારે તેના પર મહાત્મા ગાંધીનું ચિત્ર મૂકાયું. પરંતુ ખરેખર મોટો બદલાવ 1996માં આવ્યો, જ્યારે આરબીઆઈએ “મહાત્મા ગાંધી શ્રેણી” શરૂ કરી. ત્યારબાદ ભારતની તમામ નોટો પર ગાંધીજીનો ચહેરો ફરજિયાત રીતે છપાવા લાગ્યું.

આ નિર્ણય પાછળનો તર્ક સ્પષ્ટ હતો—મહાત્મા ગાંધી માત્ર સ્વતંત્રતા સંઘર્ષના પ્રતિક જ નહોતા, પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સત્યના પ્રતિનિધિ તરીકે માન્ય છે.

આરબીઆઈએ ગાંધીજીને જ કેમ પસંદ કર્યા?

આરબીઆઈ અનુસાર, મહાત્મા ગાંધીનો ચહેરો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે અને તેમની છબી રાજકીય વિવાદોથી પર છે. તેથી તેમને ભારતીય ચલણની સ્થાયી ઓળખ બનાવવામાં આવ્યા. સુરક્ષા કારણોસર પણ એક જ ચહેરો તમામ નોટો પર રાખવાથી ડિઝાઇન અને ઓળખમાં એકરૂપતા જળવાય છે.

Share This Article