ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે તેમ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું.
ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. વન્ય જીવ સંરક્ષણ-સંવર્ધનના આ અભિયાનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સુપેરે આગળ ધપાવી રહ્યો છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
નળ સરોવર પક્ષી અભયારણ્ય-અમદાવાદ:
વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ કુલ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. આ પક્ષીઓમાં મુખ્યત્વે સોવલર, પિન્ટેલ, ગોડવિટ, ગુઝ, પેલિકન, ફ્લેમિંગો, ગર્ગીની, પોચારડ, ઇગલ, ક્રેન, વેડર્સ, સ્ટ્રોક, કૂટ, સ્પૂન બિલ, ઇગ્રેટની વગેરેના પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. મધ્ય એશિયાના પથ વે પર આવતા નળ સરોવરને વર્ષ ૧૯૬૯માં પક્ષી અભિયારણ્યનો જ્યારે વર્ષ ૨૦૧૨માં ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સરોવર અંદાજે ૧૨૦ ચો. કી.મી વિસ્તારમાં ફેલાયલું છે. દર વર્ષે યાયાવર પક્ષીઓ નળસરોવરમાં આવી રોકાણ કરતા હોવાથી અત્યાર સુધીમાં કુલ ૩૨૮ કરતા વધારે પક્ષીની જાતો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા દર બીજા વર્ષે પક્ષીઓની અંદાજીત ગણતરી કરવામાં આવે છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય-જામનગર:
જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૨૪માં ૨૮૬ પ્રજાતિઓના ૨,૨૫,૧૬૯ તેમજ વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ૨૯૧ પ્રજાતિઓના ૩,૦૯,૦૬૨ એમ કુલ ૫.૩૪ લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા.
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાણી પર, જમીન પર, ઝાડ પર, કાદવ કીચડ, શિકારી તથા લાંબા પગ પગવાળા વગેરે પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૪ જેટલી પક્ષીની પ્રજાતીઓ જોવા મળી છે. જેમાં ૧૭૦ જેટલા યાયાવર પક્ષીઓ જેવા કે સાઈબેરીયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગેલીયા, ઈરાક, ઇરાન, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જેવા દેશોમાંથી આવીને ખીજડીયાના મહેમાન બની અભયારણ્યની શાનમાં વધારો કરે છે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૨માં જાહેર કરાયેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર શહેરથી માત્ર ૧૩ કિ.મી. દૂર આવેલું છે જે ૬.૦૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય મુખ્યત્વે બે ભાગ-૧ ધુવાવ તરફ અને ભાગ-૨ જાંબુડા તરફ વહેચાયેલું છે. ઈન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગમાં ખીજડીયા મધ્યમાં આવે છે, જે યાયાવર પક્ષીઓ માટે વિસામાનું આદર્શ સ્થળ છે. તેમાંથી કેટલાક યાયાવર પક્ષીઓ સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં જ નિવાસ કરે છે. આ અભયારણ્યને વર્ષ ૨૦૨૧માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં
આવ્યો છે.
વઢવાણા સરોવર-વેટલેન્ડ:
વઢવાણા સરોવરને વર્ષ ૨૦૨૧માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૬૭ પ્રજાતિઓના કુલ ૫૮,૧૩૮ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૫ પ્રજાતિઓના ૫૪,૧૬૯ યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યત્વે નોર્ધન પીન ટેઈલ, કોમન ટીલ, રૂડી શેલડક, ગ્રે લેમ ગ્રીમ, સ્પુન બિલ્સ, પોન્ડ હેરોન, ગ્રેટર હેરોન, કોરમોરન્ટ, ડાર્ટર, સ્પોટ બીલ ડક, બ્લેક ટેલ ગોડબીટ, વેઈન્ટેડ સ્ટોર્ક, નોર્ધન શોવેલર, કુટ, બ્લેક વિન્મડ સ્ટીલ્ટ, રોસી સ્ટાર્લીંગ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.
થોળ વન્યજીવ અભયારણ્ય:
વર્ષ ૨૦૨૧થી ‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ ૨૦૨૪માં ૭૪ પ્રજાતિઓના કુલ ૫૫,૫૮૭ તેમજ વર્ષ ૨૦૨૫માં ૫૯ પ્રજાતિઓના કુલ ૨૬,૧૬૨ યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા.
વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે ગૌરવની વાત છે.
રામસર સાઇટ્સ
ભારતની કુલ ૮૯ રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે તેમ, વન વિભાગ દ્વારા વધુમાં ઉમેર્યું હતું.