જયપુર: રાજસ્થાનના જયપુરમાં એક જૂની હવેલીને તોડતી વખતે દીવાલમાંથી મળેલા કથિત ખજાનાને કોન્ટ્રાક્ટરે મજૂરો સાથે મળીને ગાયબ કરી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. લગભગ એક વર્ષ જૂના આ કેસનો પોલીસે પર્દાફાશ કરીને કોન્ટ્રાક્ટર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી આશરે 67 કિલો ચાંદીની બે ઈંટો અને લગભગ 1500 જૂના ચાંદીના સિક્કા મળી આવ્યા છે. જપ્ત કરાયેલી ચાંદીની બજાર કિંમત આશરે પોણા 2 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
પોલીસ સ્ટેશન માણકચોકમાં હવેલીના માલિક રાહુલ સેઠીએ 15 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમની એક જૂની હવેલી જર્જરિત થઈ ગઈ હતી અને તેને તોડીને ત્યાં નવી હવેલી બનાવવાની હતી. આ કામ માટે તેમણે મહેશ મલ્હોત્રાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન કોન્ટ્રાક્ટરે મજૂરો સાથે મળીને જર્જરિત હવેલી તોડવાનું કામ શરૂ કર્યું હતું. હવેલી તોડ્યા બાદ થોડા દિવસોમાં માલિકને જાણ થઈ કે ઈમારતની દીવાલમાંથી સોના-ચાંદીની કેટલીક કિંમતી વસ્તુઓ મળી હતી અને કોન્ટ્રાક્ટરે પોતાના સાથીદારો સાથે મળીને તેને વહેંચી લીધી હતી.
હવેલી માલિકે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઈમારત તોડવાનું કામ શરૂ કરતા પહેલાં જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે જો કોઈ કિંમતી વસ્તુ મળે તો તે માલિકને સોંપવાની રહેશે. જોકે, આરોપ છે કે કોન્ટ્રાક્ટરે આ સૂચનાનું પાલન કર્યું નહોતું. રાહુલ સેઠીના દાવા મુજબ હવેલીની દીવાલમાંથી આશરે 40થી 45 કિલો ચાંદીની સિલ્લીઓ, સોનાના સિક્કાથી ભરેલા 14થી 15 કલશ અને 8થી 10 હજાર જૂના ચાંદીના સિક્કા મળ્યા હતા. આ હવેલી જયપુરના ત્રિપોલિયા બજાર વિસ્તારમાં આવેલી હતી.
માલિકે પહેલા પોતાના સ્તરે તપાસ કરી હતી. જોકે, કોઈ માહિતી ન મળતાં તેમણે 15 જુલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કોન્ટ્રાક્ટર મહેશ મલ્હોત્રા ઉપરાંત અનુજ, જગદીશ, રજની, રેહાન, સુલ્તાન અને પપ્પુ અજમેરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જયપુર ઉત્તર DCP કરણ શર્માએ જણાવ્યું હતું કે ઘટના લગભગ 10 મહિના જૂની હોવાથી કોઈ CCTV ફૂટેજ ઉપલબ્ધ નહોતું અને અન્ય કોઈ ખાસ પુરાવા પણ નહોતા. હવેલી તોડવાનું કામ કોન્ટ્રાક્ટર અને તેના મજૂરો દ્વારા કરવામાં આવ્યું હોવાથી પોલીસ ટીમે તેમની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે DST અને માણકચોક પોલીસ સ્ટેશનની ટીમને તપાસમાં લગાવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને ચાંદીની સિલ્લીઓ અને જૂના ચાંદીના સિક્કા અંગે મહત્વની માહિતી મળી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીની બે સિલ્લીઓ જપ્ત કરી છે, જેનું કુલ વજન આશરે 67 કિલો હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ચાંદીની બજાર કિંમત લગભગ પોણા 2 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત આશરે 1500 ચાંદીના સિક્કા પણ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે કોન્ટ્રાક્ટર મહેશ મલ્હોત્રા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. હવે પોલીસ તેમની પૂછપરછ કરીને હવેલી તોડતી વખતે મળી આવેલી અન્ય કિંમતી વસ્તુઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને વધુ સામાનની રિકવરી કરવામાં આવશે.

