નવી દિલ્હી: વધતા મોબાઇલ રિચાર્જના ભાવ વચ્ચે કરોડો ફીચર ફોન યુઝર્સ, વરિષ્ઠ નાગરિકો અને ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તા (TRAI)એ એક ડ્રાફ્ટ પ્રસ્તાવ જાહેર કર્યો છે, જેના હેઠળ ભવિષ્યમાં માત્ર વૉઇસ કોલ અને SMS માટે અલગ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો આવા ગ્રાહકોને જરૂરી ન હોય તેવા ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાની જરૂર નહીં રહે.
TRAIએ ‘ટેલિકોમ્યુનિકેશન કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન્સ 2026’ના ડ્રાફ્ટમાં સૂચન કર્યું છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા પ્લાનથી અલગ માત્ર વૉઇસ કોલ અને SMS આધારિત રિચાર્જ પેક પણ રજૂ કરે. પ્રસ્તાવ મુજબ, જો કોઈ કંપની પાસે 7, 28, 56 અથવા 84 દિવસની વેલિડિટી ધરાવતો ડેટા પ્લાન હોય, તો તે જ સમયગાળા માટે માત્ર Voice Call અને SMSનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોવો જોઈએ.
આનો મુખ્ય હેતુ એવા ગ્રાહકોને રાહત આપવાનો છે, જેમને ઇન્ટરનેટની જરૂર નથી છતાં હાલ તેમને ડેટા સાથેના મોંઘા બંડલ પ્લાન લેવા પડે છે. હાલમાં આ માત્ર ડ્રાફ્ટ પ્રસ્તાવ છે. અંતિમ નિયમ જાહેર કરતાં પહેલાં TRAIએ ટેલિકોમ કંપનીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સામાન્ય જનતા પાસેથી સૂચનો માંગ્યા છે.
ઉદ્યોગના અંદાજ મુજબ હાલના ઘણા મોબાઇલ રિચાર્જ પ્લાનમાં કુલ કિંમતનો 50થી 70 ટકા હિસ્સો ડેટાનો હોય છે. જો ડેટા દૂર કરવામાં આવે, તો Voice-Only પ્લાન હાલના પ્લાનની સરખામણીએ નોંધપાત્ર રીતે સસ્તા થઈ શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં આશરે ₹600નો રિચાર્જ પ્લાન ભવિષ્યમાં ટેલિકોમ કંપનીની કિંમતોની નીતિ મુજબ ₹250થી ₹300 સુધી આવી શકે છે. જોકે, અંતિમ કિંમત નક્કી કરવાનો અધિકાર ટેલિકોમ કંપનીઓ પાસે રહેશે.
કોને સૌથી વધુ લાભ મળશે?
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો સૌથી વધુ ફાયદો નીચેના ગ્રાહકોને થઈ શકે છે:
* ફીચર ફોન યુઝર્સ
* વરિષ્ઠ નાગરિકો
* માત્ર કોલ માટે સેકન્ડરી SIM વાપરતા ગ્રાહકો
* ઘર કે ઓફિસમાં Wi-Fiનો ઉપયોગ કરતા લોકો
કોલ બ્લોકિંગના નિયમોમાં પણ ફેરફારનો પ્રસ્તાવ
TRAIએ કોલ મેનેજમેન્ટ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર સૂચવ્યો છે. પ્રસ્તાવ મુજબ, Call Identification અથવા Call Blocking એપ્સ 1600 સિરીઝમાંથી આવતી કોલ્સને બ્લોક કરી શકશે નહીં, કારણ કે આ નંબરનો ઉપયોગ બેંકો, નાણાકીય સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અને નિયમનકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
જ્યારે 140 સિરીઝમાંથી આવતી પ્રમોશનલ કોલ્સને અગાઉની જેમ Do Not Disturb (DND) સેવા દ્વારા નિયંત્રિત કરી શકાશે. હાલ આ સમગ્ર પ્રસ્તાવ વિચારાધીન છે. કન્સલ્ટેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને મળેલા સૂચનોની સમીક્ષા કર્યા પછી TRAI અંતિમ નિયમો જાહેર કરશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો મોબાઇલ રિચાર્જ બજારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વધુ સસ્તા અને લવચીક વિકલ્પો મળી શકશે.

