240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800 થી વધુ બોડી વોર્ન કેમેરા, ભૂપેન્દ્ર પટેલે 149મી રથયાત્રાની સુરક્ષા સમીક્ષા કરી

Rudra
2 Min Read
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના ૧૬ જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વિવિધ સ્થળો જે ૨૩૦ જેટલી રથયાત્રાઓ નીકળે છે તે શાંતિ પૂર્વક, સલામતિ-સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય લોકો રથયાત્રાના દર્શન ઉલ્લાસ ભેર કરી શકે તેમજ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવા પોલીસતંત્રને આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચૂસ્ત વ્યવસ્થાઓ કરવા પણ મુખ્યમંત્રીએ મ્યુનિસીપલ કમિશ્નરને સૂચનાઓ આપી હતી.
શહેર પોલીસતંત્ર ‘ઝીરો રિસ્ક’ અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી ૩૧ હજારથી વધુ પોલીસકર્મીઓની સેવાઓ સાથે આ ૧૪૯મી રથયાત્રા શાંતિ પૂર્વક પાર પડે તે માટે દિવસ રાત જે મહેનત કરી રહ્યું છે તેની તલસ્પર્શી વિગતો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
આ રથયાત્રામાં ૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન, ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નિગરાની રાખશે. યાત્રા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના ૧૫ મેડીકલ ઓફિસર અને ૧૦૦ આરોગ્ય કર્મીઓ, ૩૧ ફાયર વ્હીકલ અને ૨૩૭ ફાયર જવાનો પણ તૈનાત રહેશે.
૧૬ કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ જોડાઇને ભક્તિ સભર માહોલ બનાવશે. રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે રથયાત્રા અગાઉ શાંતિ સમિતિની ૬૯ મિટીંગ, મહોલ્લા સમિતિની ૭૯ બેઠક તથા ૧૭૮ જેટલી બેઠકો વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો સાથે શહેર પોલીસે કરી છે.
એટલું જ નહિં, કોમી એકતાને વધુ સુદ્રઢ બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ મેચ, લોકડાયરા અને ઝેન-ઝી સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તેમ પોલીસ કમિશ્નરએ જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક જી.એસ.,મલિક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો અજય કુમાર તથા ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ સહિતના અધિકારીઓ જોડાયા હતાં.
Share This Article