કેન્યાના નકુરુ ખાતે આવેલ એક કન્યા છાત્રાલયમાં બનેલી દુઃખદ આગ દુર્ઘટનામાં 16 વિદ્યાર્થીનીઓના મોત નિપજતા શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મધરાત્રિના સમયે છાત્રાલયમાં અચાનક આગ લાગતા અનેક વિદ્યાર્થિનીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનામાં 16 આશાસ્પદ દીકરીઓએ જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનાના સમાચાર મળતા પૂજ્ય મોરારિબાપુએ ઘેરું દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ તેમની રામકથા મહારાષ્ટ્રના કિલ્લારી-લાતુર ખાતે ચાલી રહી છે. બાપુએ હનુમંત સંવેદના રૂપે મૃતક દીકરીઓના પરિવારજનોને આર્થિક સહાય જાહેર કરી છે.
પૂજ્ય મોરારિબાપુ તરફથી પ્રત્યેક દીકરીના પરિવારને રૂ. 15 હજાર લેખે કુલ રૂ. 2.40 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. આ સહાય નૈરોબીમાં સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત બાપુએ તમામ દિવંગત દીકરીઓના આત્મશાંતિ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને શોકસંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
