WPL 2025: ગુજરાત જાયન્ટ્સે ખેલાડીઓ માટે નવી જર્સી કરી લોન્ચ

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : હવે જ્યારે લીગ નજીક આવી રહી છે, તેવામાં અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમ વડોદરામાં નવા સ્થળ પર તેમના ઘરઆંગણે પદાર્પણ માટે તૈયારી કરી રહી છે. ગુરુવારે, ટીમે અમદાવાદમાં એક પ્રેસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ખેલાડીઓ હરલીન દેઓલ અને શબનમ શકીલ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના CBO સંજય આદેસરા હાજર રહ્યા હતા.

અહીં કાર્યક્રમમાં મીડિયાને સંબોધતા, હેડ કોચ માઈકલ ક્લિંગ રે આ સિઝનમાં તેમની ટીમ માટે મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી અને આ વર્ષે અંતિમ ઇનામ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ટીમની તૈયારીઓ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, “બધા ખેલાડીઓ ખરેખર ઉત્સાહિત છે. વિદેશી ખેલાડીઓ આગામી એક કે બે દિવસમાં આવવાનું શરૂ કરશે અને પછી આપણે બધા સાથે મળીને કામ શરૂ કરી શકીશું.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,”અમે ચોક્કસ જ અહીં ખૂબ જ સખત સ્પર્ધા કરવા માટે આવ્યા છીએ. અમે ખરેખર, શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સુક છીએ અને આશા રાખીએ છીએ કે ફાઇનલ માટે ક્વોલિફાય થઈશું. અમે તેનાથી દૂર નથી જઈ રહ્યા, આ સિઝનમાં અમારું લક્ષ્ય એ જ રહેશે. મને લાગે છે કે, થોડા ઉમેરાઓની દ્રષ્ટિએ અમારી પાસે ટીમમાં તે કરવા માટે પૂરતી ક્ષમતા છે. એક વાત જેનો મને ખરેખર ગર્વ હતો તે એ છે કે, છેલ્લી WPL સીઝનથી, અમારા છ ખેલાડીઓ A ટીમમાં રમી રહ્યા છે અને તેમાંથી કેટલાક ખેલાડીઓ પહેલી વાર સિનિયર ટીમમાં રમી રહ્યા છે. આથી, ટોચના સ્તરના ક્રિકેટ અને અન્ય ફ્રેન્ચાઇઝ ક્રિકેટના અનુભવ સાથે આપણને સારી સ્થિતિમાં રહેવામાં જરૂરી મદદ મળશે.”

ઈજાને કારણે પાછલી સીઝન ગુમાવનાર, ભારતની ઓલરાઉન્ડર હરલીન દેઓલે પણ ટીમ સાથે પાછા ફરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને વડોદરામાં, જ્યાં તેની કેટલીક મીઠી યાદો છે, ત્યાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેણે આશા વ્યક્ત કરી હતી.

તેણીએ કહ્યું હતું કે, “હું ઈજાને કારણે છેલ્લી સિઝન રમી શકી ન હતી, તેથી હું આ સિઝન રમવા માટે વધુ ઉત્સુક છું. વડોદરામાં મારી પહેલી સદી ફટકારવાની મારી સુંદર યાદ છે, પરંતુ ક્રિકેટમાં, તમારે દરરોજ શૂન્યથી શરૂઆત કરવી પડે છે. જો તમે પહેલા રન બનાવ્યા હોય તો તેનો અર્થ એ નથી કે તમારી પાસે પહેલેથી જ તે રન છે. તેથી, હું આ ટુર્નામેન્ટમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને હું તેની રાહ જોઈ રહી છું.”

ભારતીય ટીમ સાથે સતત બીજા U19 વર્લ્ડ કપ વિજય પછી શબનમ શકીલે જણાવ્યું હતું કે, WPL માં ગુજરાત જાયન્ટ્સનો ભાગ બનવાથી તેણીને એક ખેલાડી તરીકે વિકાસ કરવામાં ખુબજ મદદ મળી છે. તેણીએ કહ્યું હતું કે, “અનુભવી ખેલાડીઓ અને વિદેશી ખેલાડીઓના સંપર્કમાં આવવાથી ઘણું શીખવા મળ્યું છે. તેમણે મને, ખાસ કરીને બીજી સીઝનમાં જ્યારે મને ચાર મેચ રમવાની તક મળી ત્યારે ઘણી મદદ કરી હતી. હું કહીશ કે, ગુજરાત જાયન્ટ્સ અને WPL એ મને મારી જાતને વ્યક્ત કરવા માટે ઘણો અનુભવ અને રમવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર(CBO) શ્રી સંજય આદેસરાએ પણ આ સિઝનમાં ટીમ માટે અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમારી અપેક્ષા સીધી અને સરળ છે. એક ટીમ તરીકે, ગુજરાત જાયન્ટ્સ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અને વિશ્વભરમાં અમારા ચાહકોને શ્રેષ્ઠ ક્રિકેટ અનુભવ આપવાનો પ્રયાસ કરશે. આ ખૂબ જ સરળ અપેક્ષા છે, જે અમે અમારા ઘરઆંગણાના પ્રેક્ષકો માટે લઈને આવ્યા છીએ. આ પહેલી વાર છે, જ્યારે અમે અમારા ઘરેલું પ્રેક્ષકો સામે રમીશું. આથી, તે ખરેખર આપણા બધા માટે જબરજસ્ત ઉત્સાહ છે.”
ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે WPL 2025 ની ઉદ્ધાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.

Share This Article