ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ‘ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026’ આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય યજ્ઞનું આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 5555 યજ્ઞકુંડ સાથેનું અશ્વમેઘ યજ્ઞ છે, જે 5555 વર્ષ પછી તે જ તિથિ અને નક્ષત્રના સંયોગમાં યોજાશે — જે મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કરાવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ધાર્મિક વિધિ પૂરતો નથી, પરંતુ રાષ્ટ્રીય શુદ્ધિકરણ, સામાજિક કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિકરણનો પણ સંદેશ આપે છે.
આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય પંડિત રવિન્દ્રભાઇ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ 1250 કરતાં વધુ આચાર્યો અને પુરોહિતો મંત્રોચાર અને અગ્નિહોત્ર કરશે.
આ યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા અનાજ, ઔષધીય વનસ્પતિઓ, ઘી, ચંદન, કપૂર, ગુગળ અને હિમમધ જેવા તત્ત્વો પર્યાવરણને શુદ્ધ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર આવા યજ્ઞો દરમિયાન વાયુમંડળમાં શુદ્ધિકરણ થાય છે અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે.
આ મહોત્સવ પહેલા 14 જાન્યુઆરી 2026 થી શરૂ થનારી 21 દિવસની ભારતભ્રમણ યાત્રા 9999 કિમીનો માર્ગ કાપશે. આ યાત્રા દેશના મુખ્ય તીર્થસ્થાનો અને સાંસ્કૃતિક સ્થળોને સ્પર્શશે અને દરેક સ્થાને આ યજ્ઞનો “ધર્મથી રાષ્ટ્ર નિર્માણ”નો સંદેશ આપશે.
અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવના વિશેષ આકર્ષણોની વાત કરીએ તો, શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મસભા — વિખ્યાત કથાકારો અને સંતો દ્વારા રોજનું વેદાંત પ્રવચન થશે. કૃષિ મેળો – આધુનિક ખેતી અને કાર્બનિક તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે MSME અને વેપાર મેળો – સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે તક ઉભી થશે.લોક સંગીત અને લોક નાટ્ય કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલ, કલા-હસ્તકલા મેળો, આરોગ્ય શિબિરો તેમજબાળકો અને યુવાનો માટે સ્પર્ધાઓ અને નેતૃત્વ વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અશ્વમેઘ મહાયજ્ઞ દરમિયાન 6,000થી વધુ ટેન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેમાં 20,000થી વધુ યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. આ સાથ ઉત્તમ શૌચાલય, બાથરૂમ, વીજળી, ભોજન અને સુરક્ષા વ્યવસ્થા સાથે 24×7 તબીબી સહાય પણ ઉપલબ્ધ રહેશે. સ્થાનિક પોલીસ, CCTV દેખરેખ, તાલીમપ્રાપ્ત સ્વયંસેવકો અને ફાયર સિસ્ટમની વ્યવસ્થા સાથે સમગ્ર કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ કાર્યરત રહેશે. આ સાથે લાઇવ ટેલિકાસ્ટ, LED સ્ક્રીન અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે કાર્યક્રમને વિશ્વવ્યાપી પ્રસાર માટે તૈયાર કરવામાં આવશે.
આ આયોજન દરમિયાન 21 થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, જેના માટે World Talent Organization (USA) જેવી સંસ્થાઓ સાથે કરાર થયેલ છે. સ્થાનિક સ્તરે પર્યટન, વેપાર અને રોજગારમાં વધારો થવાની સાથે ખેડૂતો અને MSME ઉદ્યોગોને નવી તક મળશે. NRIsની હાજરીથી સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે.
આ કાર્યક્રમ દરમિયાન મીડિયા માટે વિશેષ અપીલ પણ કરવામાં આવી છે કે, આ મહાયજ્ઞ ફક્ત ધાર્મિક વિધિ નથી — તે ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ અને રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ છે. મીડિયા જગતને આ ઐતિહાસિક પ્રસંગને પ્રાથમિકતા આપીને તેની ભવ્યતા અને આધ્યાત્મિક શક્તિ લાખો લોકો સુધી પહોંચાડવામાં સહયોગ આપવા અનુરોધ છે.
