ગુજરાતના હવામાનમાં આવશે પલટો, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠુ? અંબાલાલ પટેલે કરી આગાહી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બનવાના કારણે તાપમાન વધ-ઘટ થઈ રહી છે અને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, 17 અને 18 ફેબ્રુઆરી પછી હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસર મેદાની ભાગો પર થવાની શક્યતા છે. પાકિસ્તાન નજીકના ભાગો, રાજસ્થાન સંલગ્ન ભાગોમાં અસર શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, મેદાની ભાગોમાં 5થી 20 મિલિમીટર વરસાદ થવાની શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. ગરમીના લીધે જીરા પાક પર ભેજની અસર રહેતા ગરમી વધી શકે એટલે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા. ઘઉંના પાકને પણ અસર થઈ શકે.

તેમણે કહ્યું કે, 18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે. જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્યતા રહે. તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે. 25થી 28 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તેની અસર થઈ શકે. વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ કે કંઈક છાંટા પડી શકે. હાલમાં આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે. પવન સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ જણાય.

Share This Article