મહાઠગ કિરણ પટેલને ક્યારે લવાશે અમદાવાદ?.. ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ કાશ્મીર જવા રવાના..!!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નકલી આઇએએસ અધિકારી કિરણ પટેલની મુસીબતમાં વધારો થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ છે. કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદ લવાશે. હાલ કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. કિરણ પટેલ અને તેના પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. લગભગ પાંચેક દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન પચાવી પાડવા અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરાઇ હતી. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મકાન પચાવી પાડી છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની સામે બેંગલો પચાવી પાડવા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ, કિરણ પટેલની પત્ની અત્યાર સુધી ક્યાં હતી અને ક્યાં છૂપાયેલી હતી, તે મામલે પણ ખુલાસા થઇ શકે છે. ગુજરાતનો કિરણ પટેલ નામનો ઠગ કાશ્મીરમાં પકડાયો હતો, તે પીએમઓમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ઓળખ આપીને દેશની સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો. તે એકવાર નહીં પરંતુ વારંવાર કાશ્મીરમાં આવ્યો અને દેશની મહત્વની સિક્યોરિટીનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો. હવે તેની ધરપકડ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિરણ પટેલ ૩ માર્ચ પકડાયો હતો અને તે ૧૭મી માર્ચ સુધી રિમાન્ડ પર હતો.

Share This Article