વિવેક તિવારી પ્રકરણઃ હત્યાને કેજરીવાલે સંપ્રદાય સાથે જોડી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં શુક્રવારના દિવસે રાત્રે પોલીસ કોન્સ્ટેબલની ગોળી એપલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીના મોતથી દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી આને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. અરવિંદ કેજરીવાલે આને હિન્દુની હત્યા તરીકે ગણાવીને વિવાદ છેડી દીધો છે. કેજરીવાલના આ નિવેદન બાદ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

કેજરીવાલે આજે ટ્વિટ કરીને પ્રશ્ન કર્યો હતો કે, વિવેક તિવારી હિન્દુ હતા તો તેમને કેમ મારી નાંખવામાં આવ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપે એક હિન્દુના હિતોની રક્ષા કરી નથી. ત્યારબાદ કેજરીવાલે મૃતક તિવારીના પત્નિ કલ્પના તિવારી સાથે પણ ફોન પર વાત કરી હતી. કેજરીવાલના આ મામલે હિન્દુની હત્યાના આક્ષેપ બાદ ભાજપે વળતા પ્રહાર કર્યા છે.

દિલ્હી ભાજપના પ્રવક્તા તેજેન્દરપાલસિંહ બગ્ગાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કેજરીવાલ હળવી રાજનીતિ રમી રહ્યા છે. દિલ્હી ભાજપના વડા મનોજ તિવારી પર કેજરીવાલ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, વિવેક તિવારીની હત્યા થઇ છે. દોષિતોને ચોક્કસપણે સજા મળશે. અમે તેમના પરિવારની સાથે છીએ. તેમણે કહ્યું છે કે, કેજરીવાલ નિચલા સ્તરની રાજનીતિ રમી રહ્યા છે. દોષિતોને સસ્પેન્ડ કરીને ૨૪ કલાકની અંદર જ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એસઆઈટીની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. દોષિતોને કઠોર સજા થાય તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર કોઇપણ કમી રાખશે નહીં.

ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પણ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, તેમના નિવેદન ખુબ જ ચિંતાજનક છે. કેજરીવાલને લોકો પણ ટ્રોલ કરી રહ્યા છે. દિલીપ પંચોલીએ કહ્યું છે કે કેજરીવાલને દિલ્હી સિવાય તમામની ચિંતા પડેલી છે. સુશીલકુમાર ધવને કહ્યું છે કે કેજરીવાલે સમાજને વિભાજિત કરવાની રાજનીતિ રમવી જાઇએ નહીં. બીજી બાજુ એવા લોકો પણ છે જે કેજરીવાલની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલે શુક્રવારે મોડી રાત્રે એપલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીની ગાડી નહીં રોકાવવાની સ્થિતિમાં તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ દોષિત પોલીસ કર્મીને બચાવવા માટેના પ્રયાસ શરૂ થયા હતા. આરોપીઓને બચાવી લેવા માટે પોલીસ ઉપર દરેક પ્રકારની ચાલ રમવાનો આક્ષેપ કરાયો હતો. પોલીસના પરિવારના સભ્યો પણ આને લઇને સાવધાનીપૂર્વકનું નિવેદન કરી રહ્યા હતા.

Share This Article